નવી દિલ્હી: INX મીડિયા મની લૉન્ડરિંગ કેસમાં ઘેરાયેલા પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમની આ દિવાળી જેલમાં પસાર થશે. દિલ્હીની એક સ્પેશિયલ કોર્ટે ચિદમ્બરમને 30 ઑક્ટોબર સુધી પ્રવર્તન નિદેશાલય (ED)ના રિમાન્ડ પર મોકલી દીધા છે. જોકે, આ દરમિયાન AIIMSમાં તેમના સ્વાસ્થ્યની તપાસ કરાવવામાં આવશે. INX મીડિયા મની લૉન્ડરિંગ કેસમાં પૂર્વ નાણાં મંત્રી પી ચિદમ્બરમને વધુ સાત દિવસ કસ્ટડીમાં મોકલવાના અનુરોધ સંબંધિ EDની અરજી પર સ્પેશિયલ જજ અજય કુમાર કુહાડે આ નિર્ણય લીધો. તપાસ એજન્સીએ કોંગ્રેસના 74 વર્ષીય પીઢ નેતાને પૂછપરછ માટે વધુ સાત દિવસ માટે તેની કસ્ટડીમાં મોકલવાની અપીલ કરી હતી.ચિદમ્બરમ તરફથી હાજર રહેલા વરિષ્ઠ અધિવક્તા કપિલ સિબ્બલે કહ્યું કે, ચિદમ્બર બહુ બીમાર છે અને તેમણે હૈદરાબાદમાં સારવાર માટે બે દિવસના વચગાળાના જામીન માંગ્યા છે. ઈડી તરફથી હાજર સૉલિસિટર જનરલ તુષાર મેહતાએ કોર્ટને જણાવ્યું કે, દસ્તાવેજી પૂરાવા સામે આવ્યા છે જેનાથી ચિદમ્બરમની મની લોન્ડરિંગમાં સંડોવણીની જાણી થાય છે. વિધિ અધિકારીએ કહ્યું કે, ચિદમ્બરની વધુ પૂછપરછ કરવાની જરૂર છે. ઈડીએ 16 ઑક્ટોબર ચિદમ્બરમને અરેસ્ટ કર્યા હતા અને તેની સમય મર્યાદા ગુરુવારે પૂરી થઈ ગઈ હતી.