એપશહેર

સંસદની કેન્ટીનમાં હવે ખાવાનું મોંઘું થશે, સબસિડી બંધ કરાઈ

સંસદની કેન્ટીનમાં ફૂડ પર અપાતી સબસિડી બંધ કરી દેવાઈ છે, તેનાથી લોકસભા સચિવાલયને વર્ષે અંદાજે 8 કરોડ રૂપિયાની બચત થશે.

I am Gujarat 19 Jan 2021, 7:25 pm
નવી દિલ્હી: લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ મંગળવારે જણાવ્યું કે, સંસદની કેન્ટીનમાં સાંસદો, અન્યને ખાવા પર અપાતી સબસિડી બંધ કરી દેવાઈ છે. બિરલાએ તેની સાથે સંલગ્ન નાણાંકીય બાબતો અંગે કોઈ જાણકારી નથી આપી. જોકે, સૂત્રોએ જણાવ્યું કે, સબસિડી બંધ કરવાથી લોકસભા સચિવાલયને વર્ષે અંદાજે 8 કરોડ રૂપિયાની બચત થશે.
I am Gujarat Parliament canteen


સંસદની કેન્ટીનમાં ખાવા પર સબસિડીને લઈને બે વર્ષ પહેલા પણ વાત ઉઠી હતી. લોકસભાની બિઝનેસ એડવાઈઝરી કમિટીમાં બધા પક્ષોના સભ્યોને એકમતે સબસિડી બંધ કરવા સંમતિ વ્યક્ત કરી હતી. હવે, કેન્ટીનમાં ખાવાનું તેની મૂળ કિંમતે જ મળશે. જાણકારી મુજબ, અત્યાર સુધી સંસદની કેન્ટીનમાં ચિકન કરી 50 રૂપિયામાં તો વેજ થાળી 35 રૂપિયામાં આપવામાં આવતી હતી. તો થ્રી કોર્સ લંચની કિંમત 106 રૂપિયા હતી. જ્યારે પ્લેન ઢોંસા માત્ર 12 રૂપિયામાં મળતા હતા. એક આરટીઆઈના જવાબમાં 2017-18માં આ રેટ લિસ્ટ બહાર આવ્યું હતું.

લોકસભા અધ્યક્ષે બજેટ સત્રની તૈયારીઓ વિશે પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, ઉત્તર રેલવેને બદલે હવે આઈટીડીસી સંસદની કેન્ટીનોનું સંચાલન કરશે. તેમણે કહ્યું કે, સંસદ સત્ર શરૂ થયા પહેલા બધા સાંસદોને કોવિડ-19ની તપાસ કરાવવા અનુરોધ કરાશે. બિરલાએ કહ્યું કે, સાંસદોના રહેઠાણ નજીક પણ તેમના આરટી-પીસીઆર કોવિડ-19 ટેસ્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

લોકસભા સ્પીકરે કહ્યું કે, કેન્દ્ર, રાજ્યો દ્વારા નિર્ધારિત કરાયેલી વેક્સીનેશન અભિયાન નીતિ સાંસદો પર પણ લાગુ થશે. તેમણે કહ્યું કે, સંસદ પરિસરમાં 27-28 જાન્યુઆરીએ આરટી-પીસીઆર ટેસ્ટ કરાશે, સાંસદોના પરિવાર, કર્મચારીઓના આરટી-પીસીઆર ટેસ્ટની પણ વ્યવસ્થા કરાશે. બિરલાએ કહ્યું કે, 29 જાન્યુઆરીથી શરૂ થનારા સંસદ સત્ર દરમિયાન રાજ્યસભાની કાર્યવાહી સવારે 9થી બપોરે 2 કલાક સુધી થશે અને લોકસભાની કાર્યવાહી સાંજે 4થી રાત્રે 8 વાગ્યા સુધી થશે. તેમણે કહ્યું કે, સંસદ સત્ર દરમિયાન પૂર્વ નિર્ધારિત એક કલાકના પ્રશ્નકાળની મંજૂરી રહેશે.

Read Next Story