એપશહેર

લોકડાઉનમાં ગુમાવ્યા 10 લાખ, PM મોદીમાંથી પ્રેરણા લઈ MBA યુવકે ચાની કિટલી ખોલી

માત્ર આઠ હજાર રુપિયાથી ચાની કિટલી શરુ કરનારો કમલેશ બન્યો 'આત્મનિર્ભર', હવે આપે છે આઠ લોકોને રોજગાર

I am Gujarat 30 Jan 2021, 5:31 pm
પ્રયાગરાજ: જાણે ઓફિસ જવા નીકળ્યો હોય તેવા અપ ટુ ડેટ કપડામાં કમલેશને ચાની કિટલી પર ચા વેચતો જોનારા નવાઈ પામ્યા વિના નથી રહેતા. ઘણા લોકો તો તેને પૂછી પણ લે છે કે ભણેલા-ગણેલા લાગો છો, તો ચાની કિટલી કેમ ચલાવો છો? જોકે, કમલેશને તેનાથી ખોટું નથી લાગતું, ઉલ્ટાનું તે તો બધાને ગર્વ સાથે જવાબ આપે છે કે કોઈ કામ નાનું નથી હોતું.
I am Gujarat unemployed mba youth starts tea stall in prayagraj
લોકડાઉનમાં ગુમાવ્યા 10 લાખ, PM મોદીમાંથી પ્રેરણા લઈ MBA યુવકે ચાની કિટલી ખોલી


લખનઉની પ્રતિષ્ઠિત સંસ્થામાંથી MBAની ડિગ્રી પ્રાપ્ત કરનારા 29 વર્ષના કમલેશે પોતાની અત્યારસુધીની બધી જ બચત હરિયાણા સ્થિત એક નેટવર્કિંગ કંપનીમાં લગાડી દીધી હતી. જોકે, લોકડાઉન દરમિયાન કંપનીના શટર પડી જતાં કમલેશ અચાનક જ રસ્તા પર આવી ગયો. કોરોનામાં કામધંધો છીનવાઈ જતાં ઘણા લોકો ડિપ્રેશનનો ભોગ બન્યા હતા. કમલેશ પણ તે જ રસ્તે હતો. જોકે, તેણે હાર ના માની.

પીએમ મોદીના વોકલ પે લોકલ અને આત્મનિર્ભર ભારત અભિયાનથી પ્રેરણા મેળવનારા કમલેશે આખરે પ્રયાગરાજના સિવિલ લાઈન્સ વિસ્તારમાં પોતાની ચાની કિટલી ખોલી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા કમલેશ જણાવે છે કે ચાની કિટલી ખોલીને તે એવો મેસેજ આપવા માગે છે કે કોઈ કામ નાનું નથી હોતું, અને તેમાંય સવાલ જ્યારે અસ્તિત્વ ટકાવી રાખવાનો હોય ત્યારે તો જરાય નહીં.

10 લાખ રુપિયા ડૂબી જતાં હતાશ થઈ ગયેલા કમલેશને જ્યારે આવક શરુ કરવાનો કોઈ રસ્તો નહોતો સૂજી રહ્યો ત્યારે તેને 'MBA તંદૂરી ચાય' શરુ કરવાનો વિચાર આવ્યો, અને જરાય મોડું કર્યા વિના તેણે આ ધંધો શરુ કરી દીધો. કમલેશ જણાવે છે કે, લોકડાઉન દરમિયાન તેના જેવા ઘણા લોકો બેકાર બની ગયા હતા. આવી સ્થિતિમાં વ્યક્તિ પાસે બે જ વિકલ્પ રહે છે. એક તો જે છે તેને સ્વીકારી લો, અને બીજો રસ્તો છે સ્થિતિ સામે પૂરા જોશ સાથે લડો અને આફતને અવસરમાં ફેરવો. આપણા પીએમ આત્મનિર્ભર બનવાની વાત કરતા હોય ત્યારે આ રસ્તા પર ચાલવાની આ શ્રેષ્ઠ તક છે.

કમલેશ હવે પોતાનો ધંધો વિસ્તારી રહ્યો છે, અને તેણે ચા સાથે બર્ગર તેમજ મોમોઝ વેચવાનું પણ શરુ કર્યું છે. માત્ર આઠ હજાર રુપિયાના રોકાણથી શરુ કરેલા આ ધંધામાં કમલેશ આજે આઠથી વધુ લોકોને રોજગારી આપી રહ્યો છે.

ચાની કિટલી ચલાવવામાં MBAની ડિગ્રી કઈ રીતે મદદ કરે છે તે સવાલનો જવાબ આપતા કમલેશ કહે છે કે, ભણેલું ક્યારેય વ્યર્થ નથી જતું. જો તે હરિયાણામાં કામ ના કરતો હોત તો તેને ચાની કિટલી ખોલવાનો વિચાર કદાચ ના આવ્યો હોત. તે સ્વીકારે છે કે તેણે જાણી જોઈને પોતાની કિટલીનું નામ MBA તંદૂરી ચાય રાખ્યું છે. તેના દ્વારા તે પોતાના જેવા યુવાવર્ગને સંદેશ આપવા માગે છે કે નોકરી શોધવાને બદલે ભલે નાનો પણ પોતાનો ધંધો શરુ કરવો જોઈએ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો