એપશહેર

કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સિતારમણને અચાનક દિલ્હી AIIMS હોસ્પિટલમાં એડમિટ કરાયા

નિર્મલા સિતારમણને શું થયું છે તેની કોઈપણ વિગતો આપવાનો સરકારે હાલ ઈનકાર કરી દીધો, 01 ફેબ્રુઆરીએ દેશનું સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે સિતારમણ. AIIMSના પ્રાઈવેટ વોર્ડમાં એડમિટ કરાયેલા નિર્મલા સિતારમણની તબિયત સારી હોવાના અહેવાલ, જોકે કેટલા દિવસ તેમેન એડમિટ રખાશે તેની કોઈ વિગતો હજુ સુધી સામે નથી આવી.

Authored byનવરંગ સેન | I am Gujarat 26 Dec 2022, 2:24 pm
નવી દિલ્હી: કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સિતારમણને દિલ્હી સ્થિત એઈમ્સ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, 63 વર્ષીય સિતારમણને આજે બપોરે 12 વાગ્યે હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં, જ્યાં તેમને પ્રાઈવેટ વોર્ડમાં એડમિટ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, નિર્મલા સિતારમણ 01 ફેબ્રુઆરી 2023ના રોજ સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યાં છે. તેમને કેમ એડમિટ કરાયા છે તેની સત્તાવાર રીતે હજુ સુધી કોઈ માહિતી નથી અપાઈ. સૂત્રોનું માનીએ તો, સિતારમણની તબિયત સારી છે.
I am Gujarat nirmala sitharaman
01 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરવાના છે નિર્મલા સિતારમણ


હજુ શુક્રવારે જ તેમણે બજેટ વિશે એવું નિવેદન પણ આપ્યું હતું કે, 2023-24નું બજેટ પણ પહેલાના બજેટો જેવું જ શાનદાર હશે. 21-28 નવેમ્બરના ગાળામાં પ્રી-બજેટ કન્સલ્ટેશન મિટિંગ પણ શરુ થઈ છે, જેમાં પણ સિતારમણ નિયમિતપણે ભાગ લઈ રહ્યા હતા. ગત સપ્તાહે તેમણે એમ પણ કહ્યું હતું કે, ભાવવધારાને ટાળવા સરકાર ફુગાવા પર નજર રાખી રહી છે.

ભાવવધારાને કાબૂમાં રાખવા સરકારે સૌથી અસરકારક કામગીરી કરી છે તેમ જણાવતા નિર્મલા સિતારમણે કહ્યું હતું કે, અન્ય દેશોની સરખામણીમાં ભારતની સ્થિતિ ખુબ જ સારી કહી શકાય તેમ છે. ઉલ્લેખનીય છે કે, ક્રુડ ઓઈલના ભાવ વધવાના કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલ તો મોંઘા થયા જ છે જ્યારે સીએનજીમાં પણ મોટો ભાવવધારો થયો છે. ફુગાવો કાબૂમાં રાખવા રિઝર્વ બેંક વ્યાજના દરમાં મોટો વધારો કરી ચુકી છે ત્યારે નિર્મલા સિતારમણ માટે મધ્યમવર્ગને નારાજ કર્યા વિના ખુશ કરવા તે પડકારજનક બની રહેશે.

આ વખતે બદલાશે ટેક્સ સ્લેબ?

દેશમાં ઘણા સમયથી ટેક્સના રેટ નથી બદલાયા. દર વર્ષે સરકાર બજેટ પહેલા તેની વાતો કરે છે પરંતુ બાદમાં તેમાં કોઈ ફેરફાર નથી થતો. વળી, આ વખતે તો હોમલોના વ્યાજમાં પણ ધરખમ વધારો થયો હોવાથી ઘર ખરીદનારા લોકો હોમલોનના વ્યાજ પર મળતી ઈન્કમ ટેક્સ રિલીફમાં વધારો કરાય તેવી માગ કરી રહ્યા છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story