એપશહેર

મોદી સરકારને ઝટકો, કૃષિ બિલોના વિરુદ્ધમાં કેન્દ્રીય મંત્રી હરસિમરત સિંહ કૌરનું રાજીનામું

લોકસભામાં અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે કૃષિ બિલનો વિરોધ કરતા કહ્યું હતું કે, તેના વિરોધમાં કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર સરકારમાંથી રાજીનામું આપશે.

I am Gujarat 17 Sep 2020, 10:55 pm
નવી દિલ્હી: સંસદમાં પ્રસ્તાવિત કૃષિ બિલ પર મોદી સરકારને મોટો ઝટકો લાગ્યો છે. કૃષિ બિલ પર એનડીએમાંથી વિરોધ ઉભો થયો છે. લોકસભામાં અકાલી દળના પ્રમુખ સુખબીર બાદલે બિલનો વિરોધ કરતા કહ્યું હતું કે, કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ કૃષિ સંબંધી બિલોના વિરોધમાં સરકારમાંથી રાજીનામું આપશે. તે પછી કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ મિનિસ્ટર હરસિમરત સિંહે સરકારમાંથી રાજીનામું આપી દીધું છે. હરસિમરત સિંહ મોદી સરકારમાં અકાલી દળના એકમાત્ર પ્રતિનિધિ હતા. ઉલ્લેખનીય છે કે, અકાલી દળ એ ભાજપની સૌથી જૂની સહયોગી પાર્ટી છે.
I am Gujarat Harsimrat Singh Kaur
કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ મિનિસ્ટર હરસિમરત સિંહે સરકારમાંથી રાજીનામું આપી દીધું. (ફાઈલ તસવીર)


હરસિમરત કૌરે રાજીનામાની જાણકારી ટ્વીટ કરીને આપી. તેમણે લખ્યું કે, મેં ખેડૂત વિરોધી વટહુકમો અને કાયદાના વિરોધમાં કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું છે. ખેડૂતોની સાથે તેમની દીકરી અને બહેનના રૂપમાં ઊભા રહેવાનો ગર્વ.

બાદલે કહ્યું કે, પંજાબના ખેડૂતોએ અનાજના મામલે દેશને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. પંજાબમાં સરકારોએ સતત કૃષિ આધારિત માળખું તૈયાર કરવા માટે મુશ્કેલ કામ કર્યું, પરંતુ આ વટહુકમ તેમની 50 વર્ષની તપસ્યાને બરબાદ કરી દેશે. અકાલી દળના નેતાએ લોકસભામાં કહ્યું હતું કે, 'હું જાહેરાત કરું છું કે, હરસિમરત કૌર બાદલ સરકારમાંથી રાજીનામું આપી દેશે.'

સુખબીર બાદલે લોકસભામાં કહ્યું હતું કે, 'શિરોમણિ અકાલી દળ ખેડૂતોની પાર્ટી છે અને તે કૃષિ સંબંધી આ બિલોનો વિરોધ કરે છે.' કોંગ્રેસના આરોપોનું ખંડન કરતા તેમણે કહ્યું કે, 'શિરોમણિ અકાલી દળે ક્યારેય યુ-ટર્ન નથી લીધો.' બાદલે કહ્યું કે, 'અમે એનડીએના સાથી છીએ. અમે સરકારને ખેડૂતોની ભાવના જણાવી, અમે આ વિષયને દરેક મંચ પર ઉઠાવ્યો. અમે પ્રયાસ કર્યો કે, ખેડૂતોની આશંકાઓ દૂર થાય, પરંતુ એવું ન થઈ શક્યું.'

કોંગ્રેસ સહિત અન્ય વિરોધ પક્ષો પણ વિરોધમાં
લોકસભામાં કોંગ્રેસ ઉપરાંત બીજા વિરોધ પક્ષોએ બિલનો વિરોધ કર્યો છે. કોંગ્રેસ સાંસદ રવનીત સિંહ બિટ્ટૂએ કહ્યું કે, ખેડૂતો માટે કાળો કાયદો લાવવામાં આવી રહ્યો છે. તેનાથી ખેડૂતોને બચાવવા જોઈએ. તો, આરએસપીના એન કે પ્રેમચંદ્રને આરોપ લગાવ્યો કે, સરકારે કોવિડ-19ની સ્થિતિનો ફાયદો ઉઠાવતા આ વટહુકમોને લાઈને કૃષિ ક્ષેત્રને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે વટહુકમો અન સંબંધિત બિલોનો વિરોધ કરતા માંગ કરી કે, બિલોને સંસદીય સ્થાયી સમિતિમાં મોકલવા જોઈએ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો