એપશહેર

અનલોક 2: PM મોદીની મોટી જાહેરાત, રાશનકાર્ડ ધારકોને નવેમ્બર સુધી મળશે ફ્રી અનાજ

પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં કરી મોટી જાહેરાત, અનલોક દરમિયાન લોકોને કોરોના પ્રત્યે બેદરકાર ના રહેવા પણ કરી ટકોર

Edited byનવરંગ સેન | I am Gujarat 30 Jun 2020, 5:52 pm
નવી દિલ્હી: પીએમ મોદીએ આજે અનલોક 2.0ની શરુઆત પહેલા દેશને સંબોધિત કરતા લોકડાઉન વખતે શરુ કરાયેલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને નવેમ્બર 2020 સુધી લંબાવવાની જાહેરાત કરી છે. પીએમે જણાવ્યું હતું કે, જુલાઈની શરુઆતથી જ તહેવારોની મોસમ શરુ થઈ જાય છે. ચોમાસા બાદ ખેતીને બાદ કરતા અન્ય ક્ષેત્રોમાં કામકાજ સૂસ્ત હોય છે. તેવામાં 80 કરોડ લોકોને સરકારે નવેમ્બર 2020 સુધી મફતમાં અનાજ અને કઠોળ આપવાનો નિર્ણય કર્યો છે.
I am Gujarat PM Modi


આપણે ત્યાં વરસાદની સીઝનમાં અને ત્યારબાદ મુખ્યત્વે કૃષિ ક્ષેત્રે વધારે કામ હોય છે. બીજા ક્ષેત્રોમાં થોડી સૂસ્તી રહે છે. જુલાઈથી ધીરે-ધીરે તહેવારોનો માહોલ બનવા લાગે છે. તહેવારોનો આ સમય જરુર અને ખર્ચ બંને વધારે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી એ વાતનો નિર્ણય લેવાયો છે કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો વિસ્તાર હવે દિવાળી અને છઠ પૂજા સુધી એટલે કે, નવેમ્બરના અંત સુધી કરી દેવાયો છે. મતલબ કે, 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપનારી આ યોજના હવે નવેમ્બર 2020 સુધી ચાલશે. સરકાર દ્વારા આ પાંચ મહિના માટે દર મહિને પરિવારના દરેક સભ્યને 5 કિલો ઘઉં કે 5 કિલો ચોખા મફતમાં અપાશે. સાથે જ પ્રત્યેક પરિવારને દર મહિને 1 કિલો ચણા પણ મફત અપાશે, તેમ પીએમે જણાવ્યું હતું.


આ યોજનાનો સૌ જરુરિયાતમંદોને લાભ મળી રહે તે માટે સમગ્ર દેશમાં હવે એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડને અમલી બનાવવાની તૈયારી પણ ચાલી રહી છે તેવી માહિતી પણ પીએમે આપી હતી. પીએમે કહ્યું હતું કે, આ યોજનાનો સૌથી વધુ લાભ તેવા ગરીબ લોકોને મળશે કે જેઓ રોજગાર કે બીજી આવશ્યકતાઓને કારણે પોતાનું વતન છોડી બીજા રાજ્યમાં જાય છે. આજે ગરીબ, જરુરિયાતમંદોને સરકાર મફતમાં અનાજ આપી શકે છે તો તેનો શ્રેય પીએમે દેશના મહેનતુ ખેડૂતો અને દેશના ઈમાનદાર કરદાતાઓને આપ્યો હતો.

સરકાર દ્વારા જરુરિયાતમંદોની મદદ લેવા લેવાયેલા પગલાંની માહિતી આપતા પીએમે કહ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનામાં 20 કરોડ ગરીબ પરિવારોના જનધન ખાતામાં 31 હજાર કરોડ જમા કરાવાયા છે. 9 કરોડથી વધુ ખેડૂતોના બેંક અકાઉન્ટમાં 18 હજાર કરોડ જમા થયા છે. તેની સાથે ગામડાંમાં શ્રમિકોને રોજગાર આપવા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનને ઝડપી ગતિથી આરંભ કરાયું છે. તેના પર સરકાર 50 હજાર કરોડ ખર્ચી રહી છે.


લોકડાઉન દરમિયાન દેશની સર્વોચ્ચ પ્રાથમિકતા એ રહી કે એવી સ્થિતિ ના સર્જાય કે કોઈ ગરીબના ઘરમાં ચૂલો ના સળગે. સરકારો, સિવિલ સોસાયટીના લોકોએ ભેગા મળી તમામ પ્રયાસ કર્યા કે આટલા મોટા દેશમાં કોઈ ગરીબ ભાઈ બહેન ભૂખ્યો ના ઉંઘે. દેશ હોય કે વ્યક્તિ, સમય પર નિર્ણય લેવાથી, સંવેદનશીલતાથી નિર્ણય લેવાથી કોઈપણ સંકટનો મુકાબલો કરવાની શક્તિ અનેકગણી વધી જાય છે. માટે જ, લોકડાઉન થતાં જ સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના શરુ કરી, જેના અંતર્ગત ગરીબો માટે પોણા બે લાખ કરોડનું પેકેજ જાહેર કરાયું હતું.

પીએમે જણાવ્યું હતું કે, કોરોનાથી થતાં મૃત્યુદર બાબતે ભારતમાં સ્થિતિ ઘણી નિયંત્રણમાં છે. સમય પર કરાયેલા લોકડાઉન અને અન્ય નિર્ણયોએ ભારતમાં લાખો લોકોનું જીવન બચાવ્યું. સાથે આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે જ્યારથી દેશમાં અનલોક-1 શરુ થયું છે ત્યારથી વ્યક્તિગત અને સામાજીક વ્યવહારમાં લાપરવાહી વધી રહી છે. પહેલા આપણે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, હાથને સારી રીતે ધોવાને લઈને સતર્ક હતા, પરંતુ આજે આપણે વધુ સતર્કતાની જરુર છે તેવામાં લાપરવાહી વધવી ખૂબ જ ચિંતાનું કારણ છે.

લોકડાઉન દરમિયાન ખૂબ જ ગંભીરતાથી નિયમોનું પાલન કરાયું હતું. હવે સરકારોને, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને, દેશના નાગરિકોને ફરી એ જ પ્રકારની સતર્કતા બતાવવાની જરુર છે. ખાસ કરીને કન્ટેઈનમેન્ટ ઝોન પર વિશેષ ધ્યાન આપવાની જરુર છે. જે લોકો નિયમોનું પાલન નથી કરતા તેમને આપણે ટોકવા પડશે, રોકવા પડશે અને સમજાવવા પણ પડશે.

પીએમે કહ્યું હતું કે, તમે હાલમાં જ સમાચારોમાં જોયું હશે કે એક દેશના પીએમને જાહેર સ્થળ પર માસ્ક વિના જવા બદલ 13 હજારનો દંડ ફટકારાયો હતો. ભારતમાં પણ સ્થાનિક તંત્રએ આવી જ કડકાઈથી કામ કરવાની જરુર છે. આ એક 130 કરોડ દેશવાસીઓના જીવનની રક્ષા કરવાનું અભિયાન છે. ભારતમાં ગ્રામપ્રધાન હોય કે દેશનો પ્રધાનમંત્રી હોય, કોઈપણ નિયમોથી ઉપર નથી.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો