એપશહેર

બહારના નેતાઓથી પોતાના થયા બેચેન, ભાજપે જણાવવો પડ્યો બંગાળની સત્તા મેળવવાનો પ્લાન

છેલ્લા બે વર્ષોમાં સુવેન્દુ અધિકારી, 14 અન્ય ધારાસભ્યો અને એક વર્તમાન સાંસદ સહિત તૃણમૂલ કોંગ્રેસના ઘણા સીનિયર નેતા ભાજપમાં સામેલ થયા છે.

Agencies 24 Jan 2021, 10:18 pm
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં આગામી ત્રણ મહિનામાં ચૂંટણી યોજવા જઈ રહી છે. તેને લઈને રાજ્યમાં રાજકીય વાતાવરણ ગરમાઈ ગયું છે. સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસના ઘણા મંત્રી, ધારાસભ્યો તેમજ નેતા ભાજપમાં સામેલ થઈ મમતા બેનર્જીને ઝટકો આપી ચૂક્યા છે. ભાજપમાં એકપછી એક આવી રહેલા આ નેતાઓને પગલે પાર્ટીના જૂના નેતાઓમાં પોતાને સાઈડલાઈન કરી દેવાશે તેવી આંશકા ઊભી થઈ ગઈ છે. તેના પર પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. ઘોષે એ આશંકાઓને ફગાવી દીધી કે, જૂના નેતાઓથી વધુ મહત્વ અન્ય પક્ષોમાંથી આવેલાઓને આપવામાં આવશે. તેનાથી ભાજપના નારાજ નેતાઓને થોડી રાહત મળી છે.
I am Gujarat West Bengal Election BJP


દિલીપ ઘોષે રવિવારે કહ્યું કે, રાજકીય નિષ્ઠા બદલવાથી હંમેશા મહત્વપૂર્ણ પદ મળવાની ગેરંટી નથી હોતી. ઘોષે જોકે એ વાત પર ભાર આપ્યો કે, પાર્ટીએ બંગાળમાં પોતાનો આધાર વધારવા અને સત્તામાં આવવા માટે અન્ય રાજકીય સંગઠનોના લોકોને જોડવાની જરૂર છે. ઘોષે સ્પષ્ટ કર્યું કે, દરેકે પાર્ટીના નિયમો અને કાયદાઓનું પાલન કરવાનું છે, પછી તે જૂના હોય કે નવા. તેમણે કહ્યું કે, 'પશ્ચિમ બંગાળમાં ભાજપ એક વધતી તાકાત છે. પ્રત્યેક પસાર થતા દિવસની સાથે આપણું સંગઠન મજબૂત થઈ રહ્યું છે, તૃણમૂલ કોંગ્રેસ સહિત અન્ય પક્ષોના લોકો આપણી સાથે જોડાઈ રહ્યા છે. જો આપણે અન્ય સંગઠનોને નહીં લઈએ તો આગળ કેવી રીતે વધીશું?'

તૃણમૂલ કોંગ્રેસના નેતાઓને પાર્ટીમાં સામેલ કરવાને લઈને રાજ્યના કેટલાક ભાગોમાં પાર્ટીની અંદર ખેંચતાણના અહેવાલો વિશે પૂછવા પર ઘોષે કહ્યું કે, 'ભલે કોઈપણ પાર્ટીમાં સામેલ થાય, હું કહેવા ઈચ્છીશ કે બધાએ પાર્ટીના નિયમો અને કાયદાનું પાલન કરવું પડશે. કોઈપણ પાર્ટી કરતા ઉપર નથી.' ભાજપના સૂત્રો મુજબ, પાર્ટીની ઘણી કેડર અને આરએસએસ કેટલાક નેતાઓને પાર્ટીમાં સામેલ કરવાને લઈને વધુ ખુશ નથી. ઘોષે કહ્યું કે, 'જે કોઈ અમારી સાથે જોડાય છે, તે બધાને મહત્વપૂર્ણ પદ નહીં અપાય. લોકશાહીમાં સંખ્યાબળ એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. અમારે (સત્તામાં આવવા માટે) આંકડો મેળવવાની છે.'

ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે વર્ષોમાં સુવેન્દુ અધિકારી, 14 અન્ય ધારાસભ્યો અને એક વર્તમાન સાંસદ સહિત તૃણમૂલ કોંગ્રેસના ઘણા સીનિયર નેતા ભાજપમાં સામેલ થયા છે. સાથે જ ડાબેરી પક્ષના ત્રણ ધારાસભ્ય અને કોંગ્રેસના ચાર ધારાસભ્ય પણ ભાજપમાં આવ્યા છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના એ આરોપો કે ભાજપ એક 'વોશિંગ મશીન' બની ગઈ છે, જે અન્ય પાર્ટીના ભ્રષ્ટોને સ્વચ્છ બનાવે છે, ઘોષે કહ્યું કે, ' કોઈને પાર્ટીમાં સામેલ કરવાનો અર્થ તેમના ખોટા કામોને યોગ્ય ઠેરવવા તેવો નથી. અમે કોઈને કોઈ બાબતને પ્રમાણિત કે ન્યાયોચિત નથી ઠેરવી રહ્યા. જો કોઈ સાબિત થાય છે, તો તેને પરિણામ ભોગવવું પડશે. એ તૃણમૂલ કોંગ્રેસ છે, જે ભ્રષ્ટાચારની સંસ્કૃતિમાં વિશ્વાસ કરે છે.'

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો