એપશહેર

શાહીન બાગની આખી સ્ક્રિપ્ટ ભાજપે લખી હતીઃ આપનો દાવો

સીએએના વિરોધ પ્રદર્શનના એપિસેન્ટર એવા શાહીન બાગમાં ધરણા આપનારા કેટલાક મુસ્લિમો ભાજપમાં જોડાયા છે

I am Gujarat 17 Aug 2020, 9:35 pm
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં દિલ્હીના શાહીન બાગમાં ચાલેલા ધરણા બંધ થઈ ગયા છે. પરંતુ હવે શાહીન બાગ ફરીથી ચર્ચામાં આવ્યો છે. શાહીન બાગમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોમાંથી ઘણા લોકો ભાજપમાં જોડાયા છે જેને લઈને તે ફરીથી ચર્ચામાં આવ્યો છે. તેને લઈને આમ આદમી પાર્ટી (આપ)એ કહ્યું છે કે શાહીન બાગની આખી સ્ક્રિપ્ટ ભાજપે જ લખેલી હતી. જોકે, ભાજપે આપની વાતોનું ખંડન કર્યું છે. શાહીન બાગ સીએએ વિરોધનું કેન્દ્ર હતું અને શાહીન બાગ વિસ્તારના મુસ્લિમ સમુદાયના ઘણા લોકો ભાજપમાં જોડાયા છે. તેને લઈને આપના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે દાવો કર્યો છે.
I am Gujarat whole shaheen bagh protest scripted by bjp claim aap
શાહીન બાગની આખી સ્ક્રિપ્ટ ભાજપે લખી હતીઃ આપનો દાવો


દિલ્હી ચૂંટણીમાં લાભ લેવા માટે ભાજપને બનાવી હતી સ્ક્રિપ્ટ

ભારદ્વાજે દાવો કર્યો છે કે ભાજપે દિલ્હીની ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે શાહીન બાગ ધરણાની સ્ક્રિપ્ટ લખી હતી જેથી કરીને તેઓ આ વિવાદનો ફાયદો ઉઠાવી શકે. તેમણે કહ્યું છે કે, દિલ્હીની ચૂંટણી એજ્યુકેશન, હેલ્થ, એન્વાયરમેન્ટ અને અન્ય વિકાસના મુદ્દાઓ પર લડાવી જોઈતી હતી. પરંતુ દિલ્હી ભાજપે સમગ્ર ચૂંટણી શાહીન બાગના મુદ્દા પર લડવાનું પસંદ કર્યું હતું. શાહીન બાગનું વિરોધ પ્રદર્શન ભાજપની જ સ્ક્રિપ્ટ હતી. ભાજપના ટોચની નેતાગીરીએ શાહીન બાગના પ્રત્યેક પગલાની સ્ક્રિપ્ટ લખી હતી. તેમણે દાવો કર્યો છે કે, ભાજપે જ નક્કી કર્યું હતું કે કોણ શું બોલશે, કોણ કોના પર પ્રહાર કરશે અને કોણ તેનો કાઉન્ટર એટેક કરશે. આ તમામ બાબતો આયોજનબદ્ધ અને સારી રીતે લખવામાં આવી હતી.

શાહીન બાગ વિરોધ પ્રદર્શનના મુખ્ય લોકો ભાજપમાં જોડાયા

ભારદ્વાજે કહ્યું છે કે શાહીન બાગ વિરોધ પ્રદર્શનની પાછળ રહેલા મુખ્ય લોકો રવિવારે પક્ષના સિનિયર નેતાઓની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. આજે પ્રશ્ન એ છે કે શું ભાજપ દેશ વિરોધી સૂત્રોચ્ચાર કરનારા લોકો ભાજપમાં જોડાઈ શકે છે તેવો સંદેશ આપવા માંગે છે? તેમણે દાવો કર્યો છે કે શાહીન બાગ અને તેને લગતા વિવાદોના કારણે દિલ્હીમાં ભાજપની વોટની ટકાવારી 18માંથી વધીને 38 થઈ હતી. આ જ વિરોધ પ્રદર્શનના કારણે ભાજપે નોર્થ-ઈસ્ટ દિલ્હીમાં ધ્રુવીકરણ કર્યું હતું અને કેટલીક બેઠકો જીતી હતી.

મનોજ તિવારીએ આપની ઝાટકણી કાઢી

દિલ્હી ચૂંટણી વખતે દિલ્હી ભાજપના વડા રહેલા મનોજ તિવારીએ આપના આક્ષેપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે તેમની પાર્ટી ધર્મ કે જાતિના આધારે ભેદભાવ કરતી નથી. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, હવે જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે અને મુસ્લિમ ભાઈઓ અને બહેનો ભાજપ સાથે આવવા ઈચ્છે છે. અરવિંદ કેજરીવાલજી તમે ભાગલા પાડવાનું બંધ કરો. વિશ્વની સૌથી મોટા પક્ષ ભાજપમાં તમામ ધર્મોના લોકો છે અને તેઓ જાતિ કે ધર્મના આધારે ભેદભાવ કરતો નથી.

શાહીન બાગ સીએએ વિરોધનું એપિસેન્ટર હતું

દિલ્હીનો શાહીન બાગ વિસ્તાર નાગરિકતા સુધારા કાયદા (સીએએ)ના વિરોધનું એપિસેન્ટર હતું અને ત્યાં મોટા ભાગે મહિલાઓ અને કેટલાક યુવાનો દ્વારા ત્રણ મહિના સુધી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે, કોરોના વાયરસના કારણે આ વિરોધ પ્રદર્શન બંધ કરી દેવામાં આવ્યું હતું. દિલ્હી ચૂંટણી દરમિયાન શાહીન બાગનો મુદ્દો દરેક સભામાં ગાજ્યો હતો. ભાજપે ચૂંટણી પ્રચાર દરમિયાન તેનું ધ્યાન રાષ્ટ્રીય સુરક્ષા પર કેન્દ્રીત રાખ્યું હતું જ્યારે આપે એજ્યુકેશન, હેલ્થકેર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ચૂંટણી લડી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો