એપશહેર

કોરોનાનો કહેર અને અર્થતંત્રની ખરાબ હાલત... છતાં કેમ વધી વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા

ભારત હાલમાં ઘણા પડકારોનો સામનો કરી રહ્યું છે છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં સહેજ પણ ઘટાડો થયો નથી

I am Gujarat 21 Oct 2020, 7:34 pm
નવી દિલ્હીઃ ભારત હાલમાં કોરોના વાયરસના રોગચાળા, ખરાબ અર્થવ્યવસ્થા અને ચીન સાથે સરહદે તણાવના પડકારો સામે લડી રહ્યું છે. તેમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા હજી પણ યથાવત છે. બ્લૂમબર્ગના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારત કોરોનાથી સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત દેશોમાં સામેલ છે, અર્થવ્યવસ્થામાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો થયો છે, ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ચીન સાથે સરહદ પર અત્યંત તણાવ છે. આ બધું હોવા છતાં વડાપ્રધાન મોદી એટલા જ લોકપ્રિય છે જેટલા તેઓ પહેલા હતા. રિપોર્ટમાં આ દાવો ઓગસ્ટ મહિનામાં કરવામાં આવેલા એક ઓપિનિયન પોલના હવાલેથી કરવામાં આવ્યો છે.
I am Gujarat why prime minister narendra modis still so popular even as india fails to fight coronavirus
કોરોનાનો કહેર અને અર્થતંત્રની ખરાબ હાલત... છતાં કેમ વધી વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા


ગત વર્ષની તુલનામાં લોકપ્રિયતા વધીઃ પોલ

હિન્દી બેલ્ટના મુખ્ય રાજ્ય બિહારમાં 28 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી ત્રણ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોરોના રોગચાળા બાદ વડાપ્રધાન મોદીની આ પ્રથમ ચૂંટણી પરીક્ષા થવા જઈ રહી છે. ઓગસ્ટ મહિનામાં કરવામાં આવેલા એક ઓપિનિયન પોલમાં 78 ટકા લોકોએ વડાપ્રધાન મોદીને સારાથી લઈને શાનદાર ગણાવ્યા છે. ગત વર્ષે 71 ટકા લોકો તેમના કામકાજથી સંતુષ્ટ જોવા મળ્યા હતા. તેનો મતલબ છે કે રોગચાળા, ખરાબ ઈકોનોમી જેવા તમામ પડકારો છતાં વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા વધી છે, ઘટી નથી.

લોકો માસ્ક નહીં પહેરે તો મોદી શું કરી લેશે

વડાપ્રધાનના સમર્થકોમાં એક 22 વર્ષીય સંજય કુમાર છે જે મિસ્ત્રીકામ કરે છે અને એપ્રિલ મહિનામાં લોકડાઉન દરમિયાન તેને પોલીસનો માર ખાવો પડ્યો હતો. તેની નોકરી છૂટી ગઈ હતી અને તે દિલ્હીથી બિહારમાં પોતાના ગામ જવા સાઈકલ પર નીકળ્યો હતો અને અંતર 1,000 કિલોમીટરથી વધારે હતું. આ દરમિયાન તેને પોલીસે માર્યો પણ હતો. સંજયને આજે પણ નોકરી મળી નથી. સંજય કહે છે કે વડાપ્રધાન મોદીની કોઈ ભૂલ નથી. જો લોકો માસ્ક નહીં પહેરે તો મોદી કોરોનાને ફેલાતો કેવી રીતે રોકી શકે છે. તેમની હેતુ સારો છે અને તેની સામે સવાલ ઉઠાવી શકાય નહીં. તે ગરીબોને ખાવાનું અને કામ આપા માટે પ્રામાણિકતાથી કામ કરી રહ્યા છે.

સમસ્યાઓ માટે મોદી નહીં બીજા લોકો જવાબદાર

મોદીના સમર્થકો ભારતની મુશ્કેલીઓ માટે બીજાને પણ દોષ દઈ રહ્યા છે. કોઈ ફેડરલ બ્યૂરોક્રેટ્સ સામે સવાલ કરી રહ્યા છે. તો ઘણા રાજ્ય સરકારોને જવાબદાર ગણાવી રહ્યા છે. કેટલાક લોકો ગામના નેતાઓને તો કોઈ વિરોધ પક્ષને દોષ આપે છે. એટલે સુધી કે દેશના નાગરિકોને પણ દોષિત ઠેરનાવાર લોકો પણ છે. હકિકતમાં વડાપ્રધાન મોદીની લોકપ્રિયતામાં તેમની જનકલ્યાણકારી યોજનાઓની ભૂમિકા ઘણી મહત્વની છે. ગરીબો માટે મફત રાંધણ ગેસ, ટોઈલેટ તથા રહેઠાણ પૂરા પાડવા જેવી યોજનાઓ તેમને લોકપ્રિય બનાવે છે.

નબળો વિરોધ પક્ષ

વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાનું એક મોટું કારણ નબળો વિરોધ પક્ષ પણ છે. કાર્નેગી એન્ડાઉમેન્ટ ફોર ઈન્ટરનેશનલ પીસના સાઉથ એશિયા પ્રોગ્રામમાં સિનિયર ફેલો અને ડાયરેક્ટર મિલન વૈષ્ણવના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રીય સ્તરે મજબૂત વિરોધ પક્ષની ખોટના કારણે મતદાતાઓ મોદી તરફ જઈ રહ્યા છે. વૈષ્ણવ કહે છે કે આ પ્રકારના રાજકારણની પણ કેટલીક ખામીઓ હોય છે. 2019મા મોદીએ પ્રભાવી રીતે તે વાતનો ફાયદો ઉઠાવ્યો કે તેમનો કોઈ વિકલ્પ નથી પરંતુ ઈકોનોમી, રોજગારી અને ગવર્નન્સના મુદ્દા પર ઝડપથી પ્રગતિ નહીં થાય તો 2024મા તેમનો માર્ગ મુશ્કેલ બની શકે છે. 2019મા વધારે બહુમતી સાથે ફરીથી સત્તામાં આવ્યા બાદ મોદીએ આર્ટિકલ 370ને હટાવી લીધો જે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતો હતો. એનઆરસીની તૈયારી ચાલી રહી છે. આ ઉપરાંત તેમણે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે આધારશીલા રાખી હતી. આ બધા નિર્ણયો તેમની હિંદુત્વવાદી છબિને કોઈને કોઈ રીતે મજબૂત બનાવી છે.

નેરેટિવ પર છે કંટ્રોલ

વડાપ્રધાન મોદી વારંવાર તે નેરેટિવ સેટ કરવામાં સફળ રહે છે કે તેમના ઈરાદામાં કોઈ ખોટ નથી. 2016મા તેમણે અચાનક નોટબંધીની જાહેરાત કરી હતી. લાંબા સમય સુધી રોકડની સમસ્યા રહી હતી. કેશ માટે બેંકો અને એટીએમ પર લાંબી લાઈનો હતી. લોકો હાલાકીનો સામનો કરી રહ્યા હતા. તેમ છતાં થોડા મહિનાઓ બાદ તેમની પાર્ટીને ઉત્તર પ્રદેશ જેવા મહત્વના રાજ્યમાં યોજાયેલી ચૂંટણીમાં પ્રચંડ બહુમતી મળી હતી. વડાપ્રધાન મોદીએ પોતાના અત્યાર સુધીના છ વર્ષના કાર્યકાળમાં એક પણ પ્રેસ કોન્ફરન્સ કરી નથી. તેમ છતાં તે સોશિયલ મીડિયા અને રેડિયો પ્રોગ્રામ મન કી બાત દ્વારા લોકો સાથે જોડાયેલા રહે છે. તે પોતાના હિસાબથી નેરેટિવ સેટ કરવામાં સફળ રહે છે. લોકડાઉન દરમિયાન મોટા ભાગના લોકોની જેમ મહારાષ્ટ્રના રહેવાસી 60 વર્ષીય ડ્રાઈવર સાહબરાવ પાટિલની પણ આવક ઘટી ગઈ છે. જોકે, તેમણે કહ્યું છે કે મને પૂરો વિશ્વાસ છે કે મોદી જુઠ્ઠુ ન બોલે. અમે તો ઉમેદવાર કોણ છે તે પણ જોતા નથી. અમે ફક્ત મોદીને વોટ આપીએ છીએ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો