નવી દિલ્હી: કોરોનાના કેસ દેશમાં ઝડપથી વધી રહ્યા છે ત્યારે કેટલાક રાજ્યોએ હવે ફરી નિયંત્રણો સખ્ત બનાવવાનું નક્કી કર્યું છે. 01 જૂનથી અનલોક 1.0 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનમાં મોટાપાયે છૂટછાટો અપાઈ હતી. જોકે, હવે રાજ્યો તેમાં કાપ મૂકવા જઈ રહ્યા છે.ગુજરાતનું પાડોશી રાજ્ય રાજસ્થાન પણ પોતાની બોર્ડર સીલ કરી ચૂક્યું છે. 1 જૂનથી રાજ્યમાંથી બહાર જવા તેમજ અંદર પ્રવેશવા પરના નિયંત્રણ હટાવી લેવાયા હતા. જોકે, બે દિવસ પહેલા જ રાજસ્થાને એન્ટ્રી અને એક્ઝિટ માટે પાસ ફરજિયાત બનાવી દેતા બોર્ડર પર હજારો વાહનો અટવાઈ ગયા હતા.જ્યાં હવે ઝડપથી કેસ વધી રહ્યા છે તેવા ચેન્નૈને જ લોકડાઉન કરી શકાય કે કેમ તેવો સવાલ મદ્રાસ હાઈકોર્ટે કર્યો છે. કોર્ટે શુક્રવાર સુધીમાં આ બાબતે સરકારને જવાબ આપવા જણાવ્યું છે. ચેન્નૈમાં 25,000થી વધુ કેસ છે, જે આખા તમિલનાડુના 70 ટકા જેટલા થવા જાય છે. ચેન્નૈમાં અત્યારસુધી 258 લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.એક સમયે કોરોના પર કાબૂ મેળવી લેનારા કેરળમાં પણ હવે કેસ વધી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે કન્ટેઈન્મેન્ટ ઝોનના ધારાધોરણ વધુ કડક બનાવ્યા છે. સીએમ વિજયનના જણાવ્યા અનુસાર, હવે રોજેરોજ કન્ટેઈન્ટમેન્ટ ઝોનની બપોરે 12 વાગ્યે જાહેરાત કરાશે. પંચાયત લેવલ પર વોર્ડ અનુસાર જ્યારે કોર્પોરેશન લેવલે સબ-વોર્ડ અનુસાર કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે.પંજાબના આરોગ્ય વિભાગે રાજ્યમાં કોરોના પીક પર પહોંચવથી બે મહિના દૂર છે તેવો અંદાજ વ્યક્ત કર્યા બાદ સરકારે જાહેર રજા તેમજ શનિ-રવિએ લોકડાઉનનો સખ્તાઈથી અમલ કરવા આદેશ આપ્યા છે. આ દિવસોમાં ઘરની બહાર નીકળવા માટે મેડિકલ સ્ટાફ તેમજ જીવનજરુરી સેવાઓ સાથે સંકળાયેા સ્ટાફ સિવાયના લોકોને પાસ મેળવવો પડશે.