એપશહેર

નવજાત બાળકને કચરાના ઢગલામાં ફેંકી દેનારી માતાને 4 વર્ષની કેદ

મહિલાએ નવજાત કચરાના ઢગલામાં ફેંકી દીધા બાદ અન્ય એક શખસે બાળકને ઉઠાવી હોસ્પિટલ પહોંચાડ્યું હતું, પરંતુ બાળકનું મોત નીપજ્યું હતું.

TNN 26 Oct 2020, 5:16 pm
નવી દિલ્હી: પોતાની નવજાત બાળકીને કચરાના ઢગલામાં છોડી દેનારી 35 વર્ષની મહિલાને દિલ્હીની એક સેશન્સ કોર્ટે એક રેર ચુકાદામાં 4 વર્ષની કેદની ફટકારી છે. આ બાળકનું બાદમાં મોત થઈ ગયું હતું. સદોષ માનવવધ ગુના માટે આ સજા આપવામાં આવી છે, કેમકે મહિલા જાણતી હતી કે, બાળક માત્ર 16 કલાકનું છે અને તેને એકલું મૂકવામાં આવશે તો જીવી શકશે નહીં.
I am Gujarat Mother and child


એડિશનલ સેશન્સ જજ નવીન ગુપ્તાએ નોંધ્યું કે ,'બાળક અનૈતિક સંબંધોથી થયું હોય તો પણ એક માતા તરીકે તેનો ઉછેર કરવાની આરોપીની ફરજ હતી. પોતાની ફરજ પૂરી કરવાના બદલે તેણીએ તેને કચરાના ઢગલામાં એક નિર્જિવ વસ્તુની જેમ ફેંકી દીધી. સાથે જ કોર્ટ આરોપીના અભ્યાસ, આવક અને સામાજિક સ્તરને નજરઅંદાજ ન કરી શકે.'

રેકોર્ડ મુજબ આરોપી વિધવા મહિલા પાંચ બાળકોની માતા છે અને તે વધુ એક બાળકને ઉછેરવા માટે સક્ષમ નથી. એક સાક્ષીએ પણ કહ્યું હતું કે, તેણે એક પ્રેગ્નન્ટ દેખાતી મહિલાને ઘર ભાડે આપ્યું હતું. સાક્ષીના કહેવા મુજબ, મહિલાએ તેમને પેટની બીમારી છે.

6 એપ્રિલ, 2016એ પોલીસને તરછોડી દેવાયેલા બાળક અંગે ફોન આવ્યો હતો. ફોન કરનારા નૂર હસને બાળકને કચરાના ઢગલામાંથી ઉઠાવી બચાવવાનો પ્રયાસ કર્યો. હસન બાળકને પોતાના ઘરે લઈ ગયો હતો અને પોલીસને જાણ કરી હતી. જ્યારે પોલીસ પહોંચી ત્યારે બાળકની માતાનું સ્વાસ્થ ઘણું ખરાબ હતું અને તેના શરીરમાંથી લોહી નીકળી રહ્યું હતું. તેણીને હોસ્પિટલ લઈ જવાઈ હતી, પરંતુ બાળકને બચાવી શકાયું ન હતું.

મહિલાએ પોતાના બચાવમાં બાળકને તરછોડી દીધાની વાત નકારી દીધી હતી અને કહ્યું કે, બાળકને તેના પિતા લઈ ગયા હતા, જેમણે હસનને આ બાળક સોંપી દીધું હતું અને વચન લીધું હતું કે તે બાળકને નામ આપશે અને સમાજમાં બદનામીથી બચાવશે. હસને બાળકના પિતાને બચાવવા ફરિયાદ નોંધાવી હોવાનો મહિલાએ આરોપ લગાવ્યો હતો.

મહિલાએ એમ પણ કહ્યું હતું કે, બાળકના પિતાએ તેને કચરાના ઢગલામાં ફેંક્યું હતું. મહિલાના નિવેદનના બચાવમાં તેના કાઉન્સેલએ પૂછ્યું હતું કે, પોલીસે બાળકના પિતાને શોધવાનો અને તપાસમાં તેની મદદ લેવાનો પ્રયાસ કેમ ન કર્યો.

સાક્ષીઓ અને પુરાવાના આધારે કોર્ટે નોંધ્યું કે, મહિલાએ એ સાબિત કરવાનું છે કે, તેણે સવારે 5 વાગ્યે બાળકને જન્મ આપ્યો તો પછી સવારે 6થી 7ની વચ્ચે બાળકની કસ્ટડી કઈ રીતે ગુમાવી. જજે કહ્યું કે, 'આ સમયગાળો હતો કે જ્યારે કથિત રીતે હસનને બાળક મળ્યું અને જ્યારે 100 નંબર પર ફોન આવ્યા બાદ માહિતી નોધવામાં આવી હતી.'

ચુકાદામાં કહેવાયું છે કે, આ મહિલા બાળકના જન્મ વખતે તેના પિતાની હાજરી અંગે કોઈ પુરાવા રજૂ કરી શકી નથી કે પછી બાળકના જન્મ પછી તેમને બોલાવ્યા હોવાનું જણાતું નથી. ચુકાદામાં કહેવાયું છે કે, 'આરોપીએ બાળક જન્મ્યુ તે પછી તરત જ તેને કચરાના ઢગલામાં ફેંકી દીધું હતું અને એ રીતે તેને તરછોડી દીધું હતું. આ બાળકને નૂર હસને ઉપાડ્યું હતું અને તેને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ એ જ દિવસે બાળકનું મોત થઈ ગયું હતું. એ કારણે આ મહિલા દોષી સાબિત થાય છે અને તેને કલમ 304ના ભાગ 2 (સદોષ માનવવધ) અને 317 અંતર્ગત જેલમાં મોકલવામાં આવે છે.'

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો