એપશહેર

સબરીમાલા મંદિર જ નહીં દેશના આ ધાર્મિક સ્થળોએ પણ મહિલાઓનો પ્રવેશ પ્રતિબંધિત

શિવાની જોષી | I am Gujarat 28 Sep 2018, 2:15 pm
I am Gujarat women are banned at these religious places of india
સબરીમાલા મંદિર જ નહીં દેશના આ ધાર્મિક સ્થળોએ પણ મહિલાઓનો પ્રવેશ પ્રતિબંધિત


આ ધાર્મિક સ્થાનોએ નથી પ્રવેશી શકતી મહિલાઓ

કેરળના સૌથી પ્રસિદ્ધ મંદિર સબરીમાલામાં મહિલાઓના પ્રવેશ પર લગાવેલો પ્રતિબંધ સુપ્રીમ કોર્ટે હટાવી લીધો છે. આ મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા પાછળ માન્યતા છે ભગવાન અયપ્પા બ્રહ્મચારી હતા એટલે જ મંદિરમાં 10-50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે ભારતમાં આ એક જ નહીં અન્ય 7 ધાર્મિક સ્થાનો એવા છે જ્યાં મહિલાઓનો પ્રવેશ આજે પણ વર્જિત છે.

પદ્મનાભસ્વામી મંદિર, કેરળ

સબરીમાલાની જેમ આ પણ કેરળનું જ મંદિર છે જ્યાં મહિલાઓ પ્રવેશી નથી શકતી. અહીં મહિલાઓ ભગવાન વિષ્ણુની પૂજા તો કરી શકે છે પરંતુ મંદિરના કક્ષમાં પ્રવેશ કરવાની મનાઈ છે. અહીં મહિલાઓએ પૂજા કરવા માટે સાડી પહેરવી જરૂરી છે. સાડી સિવાય અન્ય કોઈ કપડાં પહેરીને અહીં ભગવાનને પૂજી શકાતા નથી. મહિલાઓની જેમ પુરુષો માટે પણ અહીં ડ્રેસ કોડ છે. પુરુષોએ મંદિર કક્ષમાં જવા માટે ધોતી પહેરવી ફરજિયાત છે.

જૈન મંદિર, ગુના, મધ્યપ્રદેશ

આ મંદિર પરિસરમાં વેસ્ટર્ન કપડાં પહેરેલી મહિલા કે યુવતીઓ પ્રવેશ નથી કરી શકતી. આ મંદિરમાં ટોપ અને જિન્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયેલો છે. એટલે જે મહિલા વેસ્ટર્ન કપડાં પહેરીને આવશે તેણે મંદિરની બહાર જ રહેવું પડશે.

કાર્તિકેય મંદિર, હરિયાણા

હરિયાણાના પિહોવામાં આવેલા કાર્તિકેય મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. આ મંદિરમાં કાર્તિકેય ભગવનના બ્રહ્મચારી સ્વરૂપની પૂજા કરવામાં આવતી હોવાથી અહીં મહિલાઓ પ્રવેશી નથી શકતી.

કાર્તિકેય મંદિર, પુષ્કર

રાજસ્થાનના પુષ્કરમાં આવેલા પ્રસિદ્ધ કાર્તિકેય મંદિરને લઈને માન્યતા છે કે જે પણ મહિલા અહીં પ્રવેશ કરશે તે શાપિત થશે તેમને ક્યારેય આશીર્વાદ નહીં મળે. લોકોમાં રહેલા આ જ અંધવિશ્વાસને પગલે મહિલાઓ જાતે જ આ મંદિરમાં નથી જતી.

ભવાની દીક્ષા મંડપમ, વિજયવાડા

મંદિરના ગર્ભગૃહમાં કોઈપણ મહિલાને પ્રવેશવાનો હક નથી. જો કે રસપ્રદ બાબત એ છે કે આ મંદિરના પૂજારીના નિધન બાદ સરકારે તેમની પુત્રીની મંદિરની પૂજારી તરીકે નિમણૂક કરી. તેમ છતાં તે મંદિરના ગર્ભગૃહમાં નથી પ્રવેશ કરી શકતી.

જામા મસ્જિદ, દિલ્હી

હિંદુઓની જેમ જ મુસ્લિમોમાં પણ કેટલીક માન્યતાઓ પ્રવર્તે છે જે મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવે છે. દિલ્હીની જામા મસ્જિદ તેમાંની જ એક છે. અહીં સાંજની નમાઝ બાદ મહિલાઓ અંદર નથી પ્રવેશી શકતી.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો