એપશહેર

કોરોનામાંથી સાજા થયા બાદ કેટલો સમય લોહી પાતળું કરવાની દવા લેવી જરુરી?

TNN 5 Jun 2021, 11:23 am
આશિષ મહેતા, જયપુર: કોરોનાની ટ્રીટમેન્ટને કારણે લોહી જાડું થતું હોવાના કારણે ડૉક્ટર્સ દર્દીને કેટલોક સમય લોહી પાતળું કરવાની દવા આપતા હોય છે. જોકે, આ દવા કેટલા સમય સુધી ચાલુ રાખવી તે અંગે હવે એક નવો પ્રોટોકોલ બનાવાયો છે, જેને ડૉક્ટર્સ અનુસરી રહ્યા છે. જે મુજબ હવે દર્દીઓને બેથી ત્રણ મહિના સુધી બ્લડ થિનર્સ લેવાની સલાહ અપાય છે. જોકે, દર્દીને કેટલો સમય દવા આપવી તેનો આખરી નિર્ણય વખતોવખત તેના લોહીના રિપોર્ટના આધારે નક્કી થાય છે.
I am Gujarat covid obesity
પ્રતિકાત્મક તસવીર


રાજસ્થાન સરકારની કોવિડ મેનેજમેન્ટ કોર ટીમે કોરોનામાંથી રિકવર થયેલા નાની કે મોટી ઉંમરના દર્દીઓને બે-ત્રણ મહિના સુધી બ્લડ થિનર્સ લેવાની સલાહ આપી છે. દર્દીને કોમોર્બિડિટી હોય કે ના હોય તેને પણ આ દવા લેવી તેમ જણાવાયું છે. બીજી વેવ દરમિયાન કોરોનામાંથી રિકવર થયેલા દર્દીમાં હાર્ટ અટેક કે પછી બ્રેઈન સ્ટ્રોકના વધતા પ્રમાણને જોતા દર્દીઓને લોહી પાતળું કરવાની દવા આપવાનો આ ગાળો નક્કી કરાયો છે.

રાજસ્થાન યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ (RUHS)ના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. અજિત સિંઘના જણાવ્યા અનુસાર, ઘણા કેસમાં નાની ઉંમરના દર્દીમાં કોરોના મટી ગયા બાદ પણ ડી-ડાઈમર લેવલ (લોહીની જાડાઈ જાણવા કરાતો રિપોર્ટ) 15 દિવસ બાદ પણ ઉંચું દેખાયું છે. બીજી વેવમાં મોટાભાગના દર્દીને ઉપરથી ઓક્સિજન આપવો પડ્યો છે, જેના કારણે ડી-ડાઈમર તેમજ બીજા ઈન્ફેક્શનનું પ્રમાણ પણ ઉંચું રહેવાની શક્યતા છે. તેવામાં સાજો થયેલો દર્દી બે-ત્રણ મહિના બ્લડ થિનર્સ ચાલુ રાખે તે સલાહભર્યું છે.

ડૉ. સિંઘે એમ પણ જણાવ્યું હતું કે કોવિડમાંથી રિકવર થયેલા કેટલાક દર્દીમાં વારયલ માયોકાર્ડિટિસ પણ જોવા મળી રહ્યો છે, જેના કારણે હાર્ટ અટેક આવવાની શક્યતા વધી જાય છે. જયપુરની SMS મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સુધીર ભંડારી જણાવે છે કે, કોરોનામાંથી સાજા થયેલા ઘણા નાની કે મોટી ઉંમરના દર્દીમાં કોમોર્બિડિટી ના હોવા છતાં પણ તેમને હાર્ટ અટેક કે સ્ટ્રોક આવી ગયો હોય તેવા ઘણા કિસ્સા સામે આવ્યા છે. તેમણે રિકવર થયેલા પેશન્ટને ટ્રીટમેન્ટ દરમિયાન 15 દિવસે અને ત્યારબાદ એક મહિના પછી ડી-ડાઈમર રિપોર્ટ કરાવવાની સલાહ આપવાની સાથે કમસે કમ બે મહિના લોહી પાતળું કરવાની દવા લેવાની પણ સલાહ આપી હતી.

જયપુરમાં મેડિકલ સ્ટોર ધરાવતા સુરેશ શર્મા જણાવે છે કે, અગાઉ લોહી પાતળું કરવાની દવા ઉંમરલાયક લોકો લેતા હતા. જોકે, હવે તેની ડિમાન્ડ જબરજસ્ત વધી ગઈ છે અને કોરોનામાંથી સાજો થયેલો લગભગ દરેક બીજો દર્દી ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે આ દવા લેવા આવી રહ્યો છે. મોટાભાગના દર્દી 60 ટેબ્લેટ્સ લઈ જાય છે જે એક કે બે મહિનાનો કોર્સ હોય છે.

Read Next Story