એપશહેર

View: મોદી ગમે તેટલા ધમપછાડા કરે, ભારત ચીન જેવું નહિ બની શકે

I am Gujarat 29 Apr 2019, 1:24 pm
I am Gujarat why india cannot be next china and we should not even try
View: મોદી ગમે તેટલા ધમપછાડા કરે, ભારત ચીન જેવું નહિ બની શકે


કેમ ભારત ચીન ન બની શકેઃ

રુચિર શર્માઃ નરેન્દ્ર મોદી જ્યારે 2014માં વડાપ્રધાન બન્યા ત્યારે દેશને આશા હતી કે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જે કરી બતાવ્યું તે હવે દેશના વડાપ્રધાન તરીકે પણ કરી બતાવશે. તેમના શાસનકાળમાં ગુજરાતની અર્થવ્યવસ્થા ચીન જેટલી ઝડપથી વિકસી હતી. કાર્યક્ષમ બ્યુરોક્રસી અને એડવાન્સ ફેક્ટરીને કારણે આખી દુનિયામાંથી અબજો રૂપિયાનું રોકાણ ગુજરાતમાં આવ્યું હતું. પાંચ વર્ષ પછી જ્યારે મોદી બીજી વાર દેશના વડાપ્રધાન બનવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે ત્યારે એક વાત સ્પષ્ટ છે કે તે ભારતને બીજુ ચીન બનાવી નહિ શકે કારણ કે તે શક્ય જ નથી. ચીન અને ભારતની સરખામણી થાય તે સ્વાભાવિક છે પરતું બંનેની વસ્તી 100 કરોડથી વધારે છે તેને બાદ કરતા બંને દેશ વચ્ચે કશુંય સમાન નથી. ચીનમાં એક પક્ષની સરમુખ્તાયશાહી ચાલે છે અને તેમાં હેન અને મેન્ડેરિન ભાષા બોલતી પ્રજાની બહુમતિ છે. બીજી બાજુ ભારત અનેક પક્ષ ધરાવતી લોકશાહી છે. એક જ ધ્યેય હાંસલ કરવા હજારો પ્રકારની વિવિધતા ધરાવતા લોકો અને ભાષાકીય લઘુમતિ ધરાવતા લોકોને એકજૂટ કરવા લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કામ છે. હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો

મોદીકાળમાં ગુજરાતનો ગજબ વિકાસઃ

મોદીએ ગુજરાતમાં જે કરી બતાવ્યું એ જોઈને લાગ્યું કે તેમના જેવો મજબૂત નેતા દેશમાં પરિવર્તન આણી શકે પરંતુ આ એક સમયે માત્ર એક જ રાજ્યમાં શક્ય છે. મોદી પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે 2002થી 2007ની વચ્ચે ગુજરાતની અર્થવ્યવસ્થા 12 ટકાના વાર્ષિક દરે વિકસી હતી જે અત્યાર સુધી દેશના કોઈપણ મોટા રાજ્યના વિકાસદરમાં રેકોર્ડ છે. વડાપ્રધાન તરીકે મોદી આવું પરફોર્મન્સ નથી આપી શક્યા. તેમના શાસનકાળમાં દેશનો વિકાસદર 6થી 7 ટકા વધ્યો હતો જે ચીને 1990માં ડબલ ડિજિટ વિકાસ નોંધાવ્યો તેના કરતા અનેકગણો નીચો છે. ત્યારે ચીન ઈન્ડિયા અત્યારે જે લેવલ પર છે તે લેવલ પર હતુ.

ચીનની સ્ટ્રેટેજીઃ

માઓ અને તેના સમાજવાદી વડાઓના રાજમાં ચીનમાં માહોલ એકદમ બંધિયાર થઈ ગયો હતો. આથી જ 1970 બાદ ચીનની ઈકોનોમી પરથી તેમનો કંટ્રોલ ઢીલો થવા માંડ્યો હતો. તેમણે ગામના ચાઈનીઝને તેમની જમીન પર ખેતી કરવા માટે અને કામ માટે ચીનના અંતરિયાળ પ્રાંત છોડવાની પરવાનગી આપી. તેમણે ભારેખમ બ્યુરોક્રેટિક કંટ્રોલ વિનાના ઈકોનોમિક ઝોન બનાવ્યા જ્યાં નોકરીની નવી તકો ઊભી થઈ. સરકારે કાટ ખાતી હજારો ફેક્ટરીઓ બંધ કરી દીધી જેને કારણે લાખો લોકો બેરોજગાર બન્યા. કોઈ સામાજિક સુરક્ષા ન મળતા તેમને પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી શોધવાની ફરજ પડી. આ કારણે ચીન ડબલ ડિજિટ ગ્રોથ મેળવી શક્યું હતું.

વિકાસ માટે રિસ્ક લેવું પડેઃ

ભારતની વાત કરીએ તો આપણા દેશે ક્યારેય આટલા મોટા પાયે રિસ્ક લીધા જ નથી. તેનું એક કારણ એ છે કે લોકશાહીના નેતાઓને ડર છે કે લોકો તેમને ટૂંકાગાળામાં પડતી તકલીફોના બદલામાં વોટ ન આપીને સજા કરશે. પરિણામસ્વરૂપે ભારતમાં ચીનની સરખામણીએ ગામથી શહેર, ખેતીથી ફેક્ટરી અને સરકારીમાંથી ખાનગી ક્ષેત્ર તરફ લોકોનો ઢળાવ ઘણો ધીમેધીમે આવ્યો છે. મોટાભાગના ભારતીયો હજુ પણ ગામમાં રહી ખેતરમાં કામ કરે છે. 70 ટકા વસ્તી ગામડામાં રહે છે. ચીનમાં જેમ નવા નવા શહેરો બને છે એવું ભારતમાં જોવા નથી મળતું. ઘણા બિઝનેસ ખોટ ખાતા હોવા છતાંય સરકારની માલિકીના જ રહે છે.

આપણી પાસે આ ખૂટે છેઃ

ભારતે ફ્રી-માર્કેટ સુધારા કર્યા છે પરંતુ તે આર્થિક કટોકટીના ડરે કર્યા છે, ચીનની જેમ લાંબા ગાળાની સ્ટ્રેટેજીના ભાગરૂપે નહિ. વડાપ્રધાન તરીકેની પહેલી ટર્મમાં મોદી ધીરા સુધારાના રસ્તે ચાલ્યા છે. તેમણે ઝડપી વિકાસમાં આડખીલી બનતી સરકારી બેન્કોના ખાનગીકરણની કોશિશ પણ નથી કરી. મોદી અને વિપક્ષે જે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે તેના આધારે 2019ની ચૂંટણીના પરિણામો લગભગ સ્પષ્ટ છે. પરંતુ તેમાં જમીન અધિગ્રહણના નિયમોમાં પરિવર્તન, સરકારની ખોટ ખાતી કંપનીઓ પર કાપ મૂકવાનું ક્યાંય દેખાતુ નથી. માત્ર ચીન જ નહિ, કોરિયા, જાપાન અને તાઈવાનના વિકાસમાં પણ આ પગલાઓએ મોટો ભાગ ભજવ્યો હતો. તેને બદલે બંને પક્ષના ચૂંટણી ઢંઢેરા એવા છે જેનાથી સરકાર પાસે રોડ, બંદરો અને વીજળીના પ્લાન્ટ બનાવવા માટે પૈસા જ નહિ બચે.

ચીને આ રીતે દેશને બનાવ્યો કેશલેસઃ

દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતા બે દેશ હાલ સાવ અલગ જ દિશામાં આગળ વધી રહ્યા છે. ચીન ફ્રી માર્કેટની તરફેણમાં છે જ્યારે ભારતમાં અત્યારે પણ સરકાર પર આધારિત લોકશાહી છે. બંને વચ્ચેનો તફાવત ઊડીને આંખે વળગે તેવો છે. ચીને ટેક જાયન્ટ્સને સોફ્ટવેર પ્લેટફોર્મ બનાવીને દેશને કેશલેસ સોસાયટી બનાવ્યો. શાંઘાઈ અને બેઈજિંગ જેવા મોટા શહેરમાં તો કેશ ધીરેધીરે ગાયબ થઈ ગઈ છે. મોદીએ દેશને કેશલેસ બનાવવા 2016માં નોટબંધી લાદી દીધી. જો કે આમાં લોકો ડિજિટલ કરન્સી તરફ વળવાને બદલે કેશના અભાવે દેશનું અર્થતંત્ર પાછળ પડી ગયું.

શું સરમુખત્યારશાહી છે વિકલ્પ?

શું આનો અર્થ એમ થાય કે દેશમાં સરમુખ્ત્યારશાહી હોય તો દેશ ઝડપથી વિકાસ કરે? બિલકુલ નહિ. ચીન સફળ થયું છે તો સામે ક્યુબા, વેનેઝુએલા અને નોર્થ કોરિયા સાવ નિષ્ફળ ગયા છે. ચીનને સારા નેતા મળ્યા તે તેના નસીબ છે. આ એક અપવાદ છે. તે ભારત કે અન્ય વિકાસશીલ દેશોનો આદર્શ ન બની શકે. મુખ્ય વાત એ છે કે આપણા દેશના 29 રાજ્ય તેમને સ્વતંત્ર દેશ તરીકે જોય છે. જ્યારે પણ દિલ્હીથી કોઈ વડાપ્રધાને તેમને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો છે- જેમ ઈંદિરા ગાંધીએ 1970માં કર્યો હતો- તેમણે વળતો હુમલો કર્યો છે અને તેનું નેતૃત્વ જે-તે રાજ્યના વડાએ જ કર્યું છે.

આ છે ઉકેલઃ

ભારત એક દેશ કરતા ખંડ જેવો છે. તેના રાજ્યોમાં ભાષા, સંસ્કૃતિ યુરોપ કરતાંય વધુ વિવિધતાસભર છે. તેની ઈકોનોમી સુધારવી હોય તો એક સમયે એક રાજ્ય પર કામ કરો. આ કામ સ્થાનિક નેતાઓ જ કરી શકે જે સ્થાનિક પરિસ્થિતિથી વાકેફ છે. કેન્દ્રમાં બેઠેલો કોઈ સરમુખ્ત્યાર નેતા નહિ. પાંચ વર્ષ પહેલા આશા હતી કે ચીનની ઈકોનોમિક ફ્રીડમને કારણે તેને પોલિટિકલ ફ્રીડમ પણ મળશે પરંતુ શી જિનપિંગના રાજમાં આ શક્ય બન્યું નથી. ભારત માટે આશા હતી કે રાજકીય સ્વતંત્રતા દેશને આર્થિક સમૃદ્ધિની દિશામાં લઈ જશે પરંતુ હજુ સુધી એવું થયું નથી. સમજવા જેવી વાત એ છે કે દેશની આર્થિક સમૃદ્ધિ દિલ્હીમાં બેઠેલા વડાપ્રધાન નહિ પરંતુ રાજ્યોના મુખ્યમંત્રી લાવી શકશે. આ ચૂંટણીમાં મોદી ગયા વખત કરતા થોડી ઓછી સીટ સાથે સત્તા પર આવે તેવી ગણતરી છે ત્યારે તે સ્થાનિક નેતાઓ પર વધુ મદાર રાખતા થશે. દેશ માટે આ સારુ પુરવાર થશે. ચીન બનવા કરતા દેશમાં દરેક રાજ્યના નેતાને વિકાસની છૂટ આપવામાં આવે તો વધુ સારા રિઝલ્ટ મળે. (નોંધઃ અહીં રજૂ કરાયેલા વિચારો લેખકના પોતાના છે. iamgujarat.com તેની જવાબદારી સ્વીકારતું નથી.)

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો