સમગ્ર દેશમાં મકર સંક્રાંતિનો તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. એકબાજુ કોરોના વાયરસની મહામારી તો બીજી બાજુ અતિશય ઠંડી હોવા છતાં પણ મકર સંક્રાંતિના તહેવાર પર શ્રદ્ધાળુઓનો ઉત્સાહ ઓછો થયો નથી. દેશના અનેક રાજ્યોમાં સવારના સમયથી જ પવિત્ર સ્નાન શરૂ થઈ ગયું. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પાણીમાં ડૂબકી લગાવી અને પવિત્ર સ્નાન કર્યું. ઉત્તરપ્રદેશના વારાણસીમાં ગંગા નદીના કિનારે શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી. સવારની કડકડતી ઠંડી અને ધૂમ્મસમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા.
પશ્ચિમ બંગાળમાં પણ મકર સંક્રાંતિની ઉજવણી જોવા મળી. અહીં રાજધાની કોલકાતામાં આવેલી હુગલી નદીમાં શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું અને સૂર્ય ભગવાનની પૂજા કરી.
દેવભૂમિ ઉત્તરાખંડમાં હર્ષોલ્લાસની સાથે મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવી. અહીં હરિદ્વારમાં પ્રસિદ્ધ હરકી પૌડીમાં ઘાટ પર શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું.
ગોરખપુરના ગોરક્ષનાથ મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. અહીં પ્રસિદ્ધ ખીચડી મેળો પણ શરૂ થઈ ગયો છે.
પંજાબના અમૃતસરના સુવર્ણ મંદિરમાં માઘી પર્વના અવસર પર સરોવરમાં પવિત્ર ડૂબકી લગાવી. મકર સંક્રાંતિ પર્વને હરિયાણા અને પંજાબમાં માઘી પર્વના નામથી ઉજવવામાં આવે છે.
પ્રયાગરાજના પવિત્ર ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી. અહીં મકર સંક્રાંતિની સાથે-સાથે માઘ મેળાની શરૂઆત પણ થઈ ગઈ છે. અહીં નાવિકોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.