ઉદયપુરમાં કનૈયાલાલ ટેલરની હત્યા સાથે જોડાયેલા કેસમાં નવો ખુલાસો થયો છે. હત્યાના આરોપી મોહમ્મદ રિયાઝે 2013માં એક બાઇક ખરીદી હતી. ત્યારબાદ તેના ખાસ નંબર માટે અલગથી 5000 ચૂકવવામાં આવ્યા હતા. મુંબઈ આતંકી હુમલાની તારીખ સાથેનો આ નંબર 2611 હતો.
દરજી કનૈયાલાલની હત્યા કર્યા બાદ બંને હત્યારા આ બાઇક પર ફરાર થઇ ગયા હતા, જે થોડા સમય બાદ ઝડપાઇ ગયા હતા. હાલ કોર્ટે બંનેને અજમેર હાઈ સિક્યોરિટી જેલમાં મોકલી આપ્યા છે.
કનૈયાલાલના હત્યારાઓએ ઉદયપુરના ધનમંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમની દુકાનમાં જ ઘૂસીને હત્યા કરી હતી.
ઉદયપુરની માલદાસ સ્ટ્રીટમાં કન્હૈયાલાલની ઘાતકી હત્યા કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયા હતા. વિડીયો બનાવીને પોલીસને પડકાર ફેંકનાર ગૌસ મોહમ્મદ અને રિયાઝ 170 કિમી દૂર રાજસમંદમાં હાઇવે પર ઝડપાયા હતા. બંને એક જ મોટરસાઈકલ પર સવાર હતા.
કનૈયાલાલની હત્યા પાછળ એક મોબાઈલ પોસ્ટ જણાવવામાં આવી છે. આ પોસ્ટ કનૈયાલાલના મોબાઈલ ફોન પરથી કરવામાં આવી હતી, જેમાં કથિત રીતે નુપુર શર્માના સમર્થનમાં ટિપ્પણીઓ હતી.
ઉદયપુરની ઘાતકી હત્યા પહેલા આરોપી રિયાઝે વિડીયો બનાવ્યો હતો. રિયાઝે હત્યાનું લાઈવ રેકોર્ડિંગ અને પછી હત્યાની જવાબદારીનો વિડીયો પણ પોસ્ટ કર્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર તપાસ બાદ એ વાત પણ સામે આવી છે કે હત્યાનો આરોપી ગૌસ મોહમ્મદ પાકિસ્તાનમાં બેઠેલા સલમાન હૈદર અને અબુ ઈબ્રાહિમના સંપર્કમાં હતો.
પાડોશમાં કામ કરતા ઈશ્વરસિંહે કનૈયાલાલને બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો. હુમલાખોરો સાથે લડ્યા પરંતુ બચાવી શક્યા નહીં. આ દરમિયાન તેમના પર ગંભીર હુમલો પણ થયો હતો. જેમાં તેમને માથામાં 16 ટાંકા આવ્યા હતા.
આ ઘટના બાદ છેલ્લા 4 દિવસથી રાજસ્થાનમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ છે. સમગ્ર રાજ્યમાં એક મહિના માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે.