Lesser Known Facts About Shrinathji Temple Or Nathdwara Temple That Will Stun You
ગમે તેટલી વાર શ્રીનાથજી ગયા હશો, આટલું તો નહિ જ ખબર હોય ?
રાજસ્થાનના નાથદ્વારામાં આવેલું શ્રીનાથજીનું મંદિર વર્ષો જૂનું છે. આ મંદિરમાં હજારો ભક્તો દર્શનાર્થે આવે છે. તમે પણ એકવાર શ્રીનાથજીના દર્શને ગયા હશો પરંતુ તેમની આ વાતો નહીં જાણતા હો.
I am Gujarat26 Mar 2019, 5:34 pm
રાજસ્થાનના નાથદ્વારામાં બિરાજમાન કૃષ્ણ ભગવાનના સ્વરૂપને વૈષ્ણવભક્તો શ્રીનાથજીના નામે ઓળખે છે. શ્રીનાથજીએ કૃષ્ણ ભગવાન સાત વર્ષના હતા ત્યારનું બાળસ્વરૂપ છે. અત્યારે શ્રીનાથજીનું જે મંદિર છે તે વર્ષ 1728માં બાંધવામાં આવ્યું હતું. આ મંદિરની પ્રતિમા ચાર ફીડ ઊંચી અને રંગે શ્યામ છે. તેમનો ડાબો હાથ ઉંચો છે, જાણે તે ભક્તોને પોતાની તરફ બોલાવી રહ્યા હોય. જમણો હાથ કમર પર છે. આ સ્વરુપમાં ચોરસ પીઠિકા છે જેના પર નવ ચીજો જોવા મળે છે- બે ગાય, એક નાગ, એક ઘેટુ, એક મુનિ, એક પોપટ, બે મુનિ, એક સાપ, એક સિંહ અને બે મોર
સ્વરૂપઃ
શ્રીનાથજી એ કૃષ્ણ ભગવાનનું સાત વર્ષની વયનું બાળસ્વરૂપ છે. તેમનું મુખ્ય મંદિર રાજસ્થાનમાં ઉદેપુરથી 48 કિ.મી દૂર નાથદ્વારામાં આવવેલું છે. પુષ્ટિમાર્ગી, વલ્લભ સંપ્રદાય અથવા શુદ્ધઅદ્વૈત વૈષ્ણવોના તે આરાધ્ય દેવ છે. વલ્લભાચાર્યના પુત્ર વિઠ્ઠલનાથજીએ નાથદ્વારામાં શ્રીનાથજીની પૂજા શરૂ કરી હતી. શરૂઆતમાં કૃષ્ણ ભગવાનના આ બાળ સ્વરૂપને દેવદમન (દેવોના અધિપતિ) નામ અપાયું હતું કારણ કે તેમણે ગોવર્ધન ઊંચકી દેવરાજ ઈન્દ્રનો ઘમંડ તોડ્યો હતો. ત્યાર પછી શ્રી વલ્લભાચાર્યએ તેમને ગોપાલ નામ આપી પૂજાની આ જગ્યાને ગોપાલપુર નામ આપ્યું હતું. છેવટે વિઠ્ઠલનાથજીએ આ સ્વરૂપને શ્રીનાથજીનું નામ આપ્યું જે પ્રચલિત બન્યુ.
પુરાણો-ગ્રંથોમાં ઉલ્લેખઃ
શ્રીનાથજીનો ઉલ્લેખ પ્રાચીન સાહિત્યમાં જોવા મળે છે. ભગવદ ગીતામાં કૃષ્ણ ગોવર્ધન પર્વત ઊંચકે છે ત્યારે તેમના આ સ્વરૂપનો ઉલ્લેખ છે. આ ઉપરાંત ગર્ગ સંહિતાના ગિરિરાજ ખંડમાં પણ શ્રીનાથજીનો ઉલ્લેખ છે. અહીં તેમને દેવદમન શ્રીનાથ તરીકે સંબોધવામાં આવ્યા છે. પુષ્ટિમાર્ગીઓ માને છે કે શ્રીનાથજીના હાથ અને ચહેરા ગોવર્ધન પર્વતમાંથી ઉદભવ્યા છે. ત્યાર પછી વ્રજવાસીઓએ તેમના આધ્યાત્મિક ગુરુ માધવેન્દ્ર પુરીના માર્ગદર્શન હેઠળ તેની પૂજા કરવાની શરૂ કરી દીધી. આ ગોપાળોના દેવને શ્રીનાથજી નામ આપવામાં આવ્યું હતું. પછી વલ્લભાચાર્યએ તેમની પૂજાને વધુ પ્રચલિત બનાવી. શ્રીનાથજીની મૂળ પૂજા ગોવર્ધન નજીક જતિપુરા મંદિરમાં થતી હતી. પછી તે પર્વતની ટોચે મોટા મંદિરમાં ખસેડવામાં આવી હતી. પુષ્ટિમાર્ગીઓના સાહિત્ય મુજબ શ્રી વલ્લભાચાર્યએ વિક્રમ સંવત 1549માં ગોવર્ધન પર્વત જઈ તેમની પૂજા શરૂ કરી. આ પ્રથા તેમના પુત્ર વિઠ્ઠલનાથજીએ ચાલુ રાખી હતી. એવી વાયકા છે કે શ્રીનાથજીની પ્રતિમા ગોવર્ધનના પથ્થરમાંથી સ્વયંભૂ પ્રગટ થઈ છે.1672માં
આ રીતે નાથદ્વારા પહોંચ્યા શ્રીનાથજીઃ
પહેલા શ્રીનાથજીની પૂજા ગોવર્ધન પર્વત પર થતી હતી. તેમને 1627 A.Dમાં યમુના નદીના કિનારે લાવવામાં આવી હતી. મુઘલ રાજા ઔરંગઝેબથી પ્રતિમાનું રક્ષણ કરવા તેને લગભગ છ મહિના આગ્રામાં રાખવામાં આવી હતી. આ પ્રતિમાને કોઈ નુકસાન ન પહોંચે તે માટે તેને રથ વાટે મેવાડના સિંહાદ ગામમાં મોકલવામાં આવી હતી. એ સમયે પ્રતિમાને લઈ જતા રથના પૈડા કાદવમાં ખૂંપી ગયા અને રથ જરાય હલી ન શક્યો. પ્રતિમાને લઈ જતા પૂજારીઓને અહેસાસ થયો કે શ્રીનાથજીએ તેમના માટે આ જ જગ્યા પસંદ કરી છે. આથી મેવાડના મહારાણા રાજ સિંહના રક્ષણ હેઠળ પ્રતિમાની મંદિરમાં સ્થાપના કરવામાં આવી. અંગ્રેજ લેફ્ટનન્ટ કર્નલ ટોડે લખ્યું કે, રાણા રાજ સિંહે જરૂર પડે શ્રીનાથજીની સેવામાં સેંકડો રાજપૂતોના માથા પણ કુરાન કરવાનું વચન આપ્યું હતું. 18 અને 19મી સદીમાં શ્રીનાથજી મંદિર પર ઈન્દોરના હોલકર, મેડા અને પિંડારીઓનો હુમલો થયો હતો. ત્યારે પ્રતિમાને ફરી મેવાડના રાજા મહારાણા ભીમ સિંહના રક્ષણ હેઠળ ઉદયપુર અને ઘસિયારમાં સુરક્ષિત રાખવામાં આવી હતી.
શ્રીનાથજીના મંદિરનો ઉદભવઃ
શ્રીનાથજીને ગ્વાલિયર અને આગ્રા થઈને મેવાડ લાવવામાં આવ્યા હતા. ઔરંગઝેબ એક પછી એક હિન્દુ મંદિરોનો ખાત્મો બોલાવી રહ્યો હતો. શ્રીનાથજીનું મંદિર મેવાડના રાણાની મંજૂરીથી બાંધવામાં આવ્યુ હતુ. શ્રીનાથજીના મંદિરને શ્રીનાથજીની હવેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં એક સામાન્ય ઘરની જેમ રથ, દૂધ સંગ્રહ માટે દૂધ ઘર, પાન સંગ્રહ માટે પાન ઘર, ખાંડ અને મિષ્ટાન્નના સંગ્રહ માટે મિશ્રી ઘર અને પેડા ઘર છે. ફૂલ માટે ફૂલ ઘર, રસોઈ, ઘરેણાઘર, ખર્ચ ભંડાર, ઘોડા માટે અશ્વશાળા, ડ્રોઈંગ રૂમ, ચાંદીની ચક્કી પણ છે. વર્ષે લગભગ 1 લાખ ભક્તો આ મંદિરની મુલાકાત લે છે. અહીંના પૂજારીઓને પગાર નથી મળતો. તેમને તેમની સેવા માટે પ્રસાદ આપવામાં આવે છે. આ પ્રસાદ મુલાકાતીઓને વેચવામાં આવે છે.
શ્રીનાથજીની પ્રતિમાઃ
આ પ્રતિમા કૃષ્ણભગવાનનું બાળ સ્વરૂપ છે અને તેમના હાથી મુદ્રા ગોવર્ધન ઊંચક્યો હોય તે પ્રકારની છે. તેમનો જમણો હાથ તેમની કમર પર છે. તેમના હોઠ નીચે ચિબુક પર મોટો હીરો છે. આ પ્રતિમા એક કાળા પથ્થરમાંથી બનાવાઈ છે. તેમાં બે ગાય, એક સિંહ, એક સાપ, બે મોર અને એક પોપટ કોતરવામાં આવ્યા છે. નજીકમાં ત્રણ સંતો પણ દેખાય છે. શ્રીનાથજીની પ્રતિમાને ખૂબ જ બારીક કારીગરીવાળા સુંદર ઘરેણા પહેરાવાય છે. તેમાંથી અમુક તો મુઘલ સામ્રાજ્યકાળથી પણ જૂના છે. શ્રીનાથજીના સિલ્કના વાઘા પણ ઓરિજિનલ જરી તથા એમ્બ્રોઈડરી કામ કરીને બનવાય છે. નાથદ્વારા મંદિરને હવેલી કહેવાય છે. એક સમયે મેવાડના સેસોદિયા રાજપૂત રાજાઓનો અહીં મહેલ હતો. શ્રીનાથજીને ઠાકોરજીના લાડકવાયા નામે પણ ઓળખવામાં આવે છે. વાયકા છે કે એક દિવસે શ્રીનાથજી ગોવર્ધન પાછા ફરી જશે.
તહેવારોઃ
શ્રીનાથજી મંદિરમાં અઠવાડિયે ત્રણ તહેવારો ઉજવાય છે. રોજ આઠ વાર ભક્તો માટે દર્શન ખોલવામાં આવે છે. ખૂબ જ વિસ્તૃત અને અટપટી વિધિથી પૂજારીઓ દરરોજ શ્રીનાથજીની સેવા કરે છે. શ્રીનાથજી મંદિરનું મુખ્ય આકર્ષણ તેમની આરતી અને શૃંગાર છે. અહીં એક બાળકની જેમ શ્રીનાથજીનું રુટિન જાળવવામાં આવે છે અને દિવસ તથા રાતના સમય પ્રમાણે તેમને વાઘા પહેરાવવામાં આવે છે. દીવા, ફૂલ, ફળ અને અન્ય પ્રસાદ તથા સ્થાનિક સંગીતની ધૂન સાથે શ્રીનાથજીની પૂજા અર્ચના થાય છે. પરદો હટાવાય પછી થતા શ્રીનાથજીના દર્શનને ઝાંખી કહેવામાં આવે છે. આ ભગવાનનું બાળસ્વરૂપ હોવાથી તેમની વિશેષ કાળજી લેવાય છે. તેમના સૂવા, ઉઠવા, આરામ કરવાના સમયનું કડક પાલન કરવામાં આવે છે. એક માતા પોતાના બાળકનું ધ્યાન રાખે તેમ શ્રીનાથજીની પ્રતિમાની સંભાળ રાખવામાં આવે છે.
આ આધાર નિશ્ચિત કરાયા દર્શનના સમયઃ
વાયકા મુજબ વ્રજની ગોપીઓ કૃષ્ણ ભગવાનને એટલો પ્રેમ કરતી હતી કે તે હંમેશા યશોદાના દરવાજે આવી ઊભી રહેતી અને નંદ ગોપાલને જોવા માટે બહાનુ કાઢતી. યશોદા પોતાના બાળક માટે ખૂબ જ સંવેદનશીલ હતા. ગોપીઓના કારણે તેમના વહાલા કાનુડાને આરામ કરવાનો કે તેના મિત્રો સાથે રમવાનો સમય ન મળતો. આથી તેમણે નક્કી કર્યું કે બાળ ગોપાળનું દર્શન કરવા માંગતા હોય તો તે જમી લે તેના પછી જ તેને મળી શકે અથવા તો તે રમવા જતા હોય તે પહેલા તેમના દર્શન કરી શકે. મહાપ્રભુજીએ જ્યારે હવેલીમાં પૂજા શરૂ કરી તો તેમણે તેમની કલ્પનાનું નંદાલય ઊભુ કર્યું જે દિવસના અમુક જ સમય ખુલ્લુ રહે. આચાર્યએ દિવસના આઠ સમય નિશ્ચિત કર્યા જ્યારે ગર્ભ ગૃહમાં ભક્તો શ્રીનાથજીની ધાંખી મેળવી શકે. બાકીનો સમય ભગવાન તેમના ગોપ સાથે વ્રજમાં રમવા જઈ શકે.
ચિત્રોઃ
હિન્દુ કળામાં શ્રીનાથજીના ભક્તોની ઘણી અસર વર્તાય છે. પિછવાઈમાં, કાગળ પર કે દિવાલ પર અનેક જગ્યાએ શ્રીનાથજીના ચિત્રો જોવા મળે છે. નાથદ્વારા પિછવાઈ આર્ટનું અને પેઈન્ટિંગનું હબ છે.
પાકિસ્તાનમાં પણ છે મંદિરઃ
શ્રીનાથજીનું એક મંદિર હાલના પાકિસ્તાન (દેરા ગાઝી ખાન)માં સ્થાપવામાં આવ્યું હતું. એ સમયે આ જગ્યા ભારતનો હિસ્સો હતી અને શ્રીનાથજીથી ખાસ્સી નજીક હતી. શ્રી લાલજી મહારાજે પુષ્ટિ માર્ગના પ્રચાર માટે સિંધમાં આ મંદિર બંધાવ્યું હતું. રશિયામાં પણ વોલ્ગા વિસ્તારમાં શ્રીનાથજીની પૂજા થાય છે. યુ.એસમાં શ્રીનાથજીના આઠ મંદિરો છે. દ્વારકેશલાલજીના માર્ગદર્શન હેઠળ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં પણ શ્રીનાથજીની હવેલી બાંધવામાં આવી હતી. ગોવામાં મારગાવ પાસે વ્રજધામ હવેલી પણ બનાવવામાં આવી છે.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.