એપશહેર

પીતાંબરા પીઠ: મધ્ય પ્રદેશનું આ મંદિર છે ઘણું પ્રખ્યાત, અહીં દેવીને ચડાવાય છે પીળી વસ્તુઓ


વિપુલ પટેલ | I am Gujarat 19 Sep 2020, 1:00 pm
આ સિદ્ધપીઠની સ્થાપના 1935માં પરમ તેજસ્વી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મા પીતાંબરાનું જન્મ સ્થાન, નામ અને કુળ આજ સુધી રહસ્ય જ રહ્યું છે. માનું આ ચમત્કારી સ્થાન સ્વામીના જપ અને તપના કારણે જ એક સિદ્ધ પીઠના રૂપમાં દેશભરમાં જાણીતું બન્યું છે. રાહુલ ઉપરાંત, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી પણ આ મંદિરમાં દર્શન કરી ચૂક્યા છે. આ દેવી રાજસત્તાની દેવી કહેવાય છે, એટલે સત્તા અપાવનારી કહેવાય છે.
I am Gujarat pitambara devi madir of madhya pradesh
પીતાંબરા પીઠ: મધ્ય પ્રદેશનું આ મંદિર છે ઘણું પ્રખ્યાત, અહીં દેવીને ચડાવાય છે પીળી વસ્તુઓ


શું છે મા પીતાંબરા મંદિરનું મહત્વ?

આ મંદિરમાં ચર્તુભુજ રૂપમાં બિરાજમાન મા પીતાંબરાના એક હાથમાં ગદા, બીજા હાથમાં બરછી, ત્રીજા હાથમાં વજ્ર અને ચોથા હાથમાં તેમણે રાક્ષશની જીભ પકડી રાખી છે. ભક્તોના જીવનમાં માના ચમત્કારનો પરચો અવાર-નવાર મળતો જોવા મળે છે. કહેવાય છે કે અહીં સ્થિત મા પીતાંબરા દરરોજ ત્રણ વખત રૂપ બદલે છે. માતાના આ ચમત્કારને કારણે પણ અહીંની પ્રસિદ્ધિ દૂર-દૂર સુધી છે. ભક્તોને માતાના સ્પર્શ કરવાની મંજૂરી નથી. અહીં માના દર્શન નાની બારીમાંથી જ થાય છે.

માને ચડાવાય છે પીળી વસ્તુઓ

માનવામાં આવે છે કે મા બગલામુખી જ પીતાંબરા દેવી છે, એટલે તેમને પીળી વસ્તુઓ જ ચડાવાય છે. પરંતુ માને પ્રસન્ન કરવાનું એટલું સરળ નથી. તેના માટે કરવું પડે છે વિશેષ અનુષ્ઠાન, જેમાં ભક્તોએ પીળા કપડાં પહેરવાના હોય છે, માને પીળી વસ્તુઓ ચડાવાય છે અને પછી મા સમક્ષ મનની ઈચ્છા વ્યક્ત કરવામાં આવે છે.

રાજસત્તા પ્રાપ્તિ માટે માની પૂજાનું છે વિશેષ મહત્વ

માન્યતા છે કે, વિધિ વિધાનથી જો અનુષ્ઠાન કરવામાં આવે તો મા જલદી જ ભક્તોની મનોકામના પૂરી કરે છે. મા પીતાંબરાને રાજસત્તાની દેવી માનવામાં આવે છે અને આ રૂપમાં જ ભક્તો તેમની આરાધના કરે છે. રાજસત્તાની કામના રાખતા ભક્તો અહીં આવીને ગુપ્ત પૂજા અર્ચના કરે છે. મા પીતાંબરા શત્રુ નાશની અધિષ્ઠાત્રી દેવી છે અને રાજસત્તા પ્રાપ્તિમાં માની પૂજાનું વિશેષ મહત્વ છે.

ભારત-ચીન યુદ્ધ વખતે નહેરુએ કરાવ્યો હતો ગુપ્ત યજ્ઞ

જાણવા મળ્યા મુજબ, આ મંદિર એટલું શક્તિશાળી અને ચમત્કારી છે કે ભારત-ચીન યુદ્ધ દરમિયાન વડાપ્રધાન જવાહરલાલ નહેરુના અનુરોધ પર અહીં ગુપ્ત રીતે દેશના રક્ષણ માટે 51 કુંડી મહાયજ્ઞ કરાવાયો હતો. 11મા દિવસે છેલ્લી આહૂતિ આપવામાં આવનારી હતી, એ પહેલા ચીને પોતાની સેના પાછી બોલાવી લીધી હતી. યુદ્ધ સમયે બનાવાયેલી યજ્ઞશાળા આજે પણ અહીં સ્થિત છે અને અહીં લગાવેયેલી તકતી પર તેનો ઉલ્લેખ પણ છે. જણાવાય છે કે ચીન બાદ પાકિસ્તાન સાથે જ્યારે પણ યુદ્ધ થયું છે, ત્યારે-ત્યારે ગુપ્ત રીતે અહીં હવન કરાવાયું છે. માતા દેશ પર આવતા સંકટથી હંમેશા રક્ષણ કરે છે.

અહીં મહાદેવ અને મા ધૂમાવતીના પણ થાય છે દર્શન

મંદિરમાં મા પીતાંબરાની સાથે જ વનખંડેશ્વર મહાદેવ અને ધૂમાવતીના દર્શનોનું પણ સૌભાગ્ય મળે છે. મંદિરની જમણી તરફ બિરાજે છે ખંડેશ્વર મહાદેવ, જેમની તાંત્રિત પૂજા થાય છે. આ શિવલિંગ મહાભારત કાળનું હોવાનું કહેવાય છે. આ મંદિરના પ્રાંગણમાં મા ધૂમાવતી દેવનું પણ મંદિર છે, જે ભારતમાં ભગવતી ધૂમાવતીનં એક માત્ર મંદિર છે. મહાદેવના દરબારથી બહાર નીકળતા જ 10 મહાવિદ્યાઓમાંથી એક મા ધૂમાવતીના દર્શન થાય છે. સૌથી અનોખી વાત એ છે કે ભક્તોને મા ધૂમાવતીના દર્શનનું સૌભાગ્ય માત્ર આરતી સમયે જ પ્રાપ્ત થાય છે, કેમકે બાકીના સમયમાં મંદિરના દરવાજા બંધ રહે છે.

વસુંધરા રાજે છે આ મંદિરના ટ્રસ્ટના અધ્યક્ષ

આઝાદી પહેલા ગ્વાલિયર વિસ્તારમાં શાસન કરતા સિંધિયા રાજપરિવારના વંશજ અને રાજસ્થાનના વર્તમાન મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા આ શક્તિપીઠ ટ્રસ્ટના અધ્યક્ષ છે. આ ટ્રસ્ટ આ પીઠનું સંચાલન કરે છે.
લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો