એપશહેર

આ મંદિરમાં માતાજીને મુગટ ચઢાવવાની છે પરંપરા, 2060 સુધી થઈ ચૂક્યું છે બુકિંગ

ઘણીવાર તો જેણે બુકિંગ કરાવ્યું હોય તે વ્યક્તિનો વારો આવે ત્યાં સુધીમાં તેનું મોત થઈ જાય છે, ત્યારે પરિવારજનો ચઢાવે છે મુગટ

I am Gujarat 24 Oct 2020, 1:04 pm
છતરા (ઝારખંડ): સમય ગમે તેવો કપરો કેમ ના હોય, ભક્તોને માતાજીની ભક્તિ કરવામાં ક્યારેય કોઈ તકલીફ નથી નડતી. કંઈક આવું જ જોવા મળી રહ્યું છે ઝારખંડના છતરા જિલ્લામાં આવેલા એક દુર્ગા મંદિરમાં, જ્યાં માતાજીને મુગટ ચઢાવવાનું છેક 2060 સુધી બુકિંગ થઈ ચૂક્યું છે.
I am Gujarat 40 years waiting to crown goddess durga at this tample of jharkhand
આ મંદિરમાં માતાજીને મુગટ ચઢાવવાની છે પરંપરા, 2060 સુધી થઈ ચૂક્યું છે બુકિંગ


દર વર્ષે દુર્ગાપૂજામાં એક ભક્તને માતાજીને મુગટ ચઢાવવાની તક મળે છે. જોકે, હવે જેને આ લ્હાવો લેવો હોય તેને છેક 2061 એટલે કે 41 વર્ષ સુધી રાહ જોવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

સ્વાભાવિક છે કે, કોઈ વ્યક્તિએ પોતાનું નામ નોંધાવ્યું હોય, અને તેનો વારો આવે ત્યાં સુધીમાં કદાચ તેનું મૃત્યુ પણ થઈ જાય. આવી સ્થિતિમાં જો વ્યક્તિ હયાત ના હોય તો તેના પરિવારજનો માતાજીને મુગટ ચઢાવી શકે છે.

આ વર્ષે અહીંના જ એક વેપારી અનંત કુમારે માતાજીને મુગટ ચઢાવ્યો છે. જોકે, તેના માટેનું બુકિંગ તેમના પિતાએ કરાવ્યું હતું. પરંતુ તેમનો વારો આવે તે પહેલા જ તેમનું અવસાન થતાં પિતાની ઈચ્છા દીકરાએ પૂરી કરી હતી.

અનંત કુમારના જણાવ્યા અનુસાર, તેમના પિતાએ છેક 1996માં બુકિંગ કરાવ્યું હતું, અને તેમનો વારો 2020માં આવવાનો હતો. પરંતુ બુકિંગ કરાવ્યાના થોડા જ સમયમાં તેમનું મોત થયું હતું.

અહીં માતાજીને મુગટ ચઢાવવાની પ્રથા 70 વર્ષ પહેલા શરુ થઈ હતી. ત્યારથી જ મંદિરની કમિટિ દ્વારા તેના બુકિંગ લેવાનું શરુ કરાયું હતું. શરુઆતથી જ ભક્તો માતાજીને મુગટ ચઢાવવા વર્ષો પહેલા બુકિંગ કરાવતા આવ્યા છે.

અહીં માતાજીને ચઢાવવામાં આવતા મુગટ પણ પાછા ખાસ હોય છે. તેને મંદિરમાં જ બનાવવામાં આવે છે, જેના માટેના કારીગરો દર વર્ષે બંગાળથી આવે છે. એક મુગટની કિંમત વીસ હજાર રુપિયા થાય છે. જેનો વારો આવ્યો હોય તે વ્યક્તિએ આ ખર્ચ કરવાનો રહે છે.

Read Next Story