એપશહેર

કેદારનાથ ધામના દર્શને જતા ગુજરાતીઓ માટે આવ્યા મોટી રાહતના સમાચાર

કેદારનાથ ધામ જવું હવે વધુ સરળ બનશે, પગપાળા 18 કિલોમીટરનું જે અંતર કાપવામાં સાડા આઠ કલાક જેટલો સમય થતો હતો તે હવે રોપવેથી 25 મિનિટમાં કવર થઈ જશે. 1268 કરોડ રુપિયાના ખર્ચે સોનપ્રયાગ-કેદારનાથ રોપવે પ્રોજેક્ટ નિર્માણ પામશે. રામબાડાથી ગરુડચટ્ટી વચ્ચે પાંચ કિલોમીટરનો ટ્રેક રુટ બનાવવાને પણ મંજૂરી આપી દેવાઈ છે.

Authored byKautilya Singh | Edited byનવરંગ સેન | TNN 15 Oct 2022, 9:36 am
દેહરાદૂન: લાખો હિન્દુઓની આસ્થાનું પ્રતિક એવા કેદારનાથ ધામના દર્શન કરવા જવું હવે વધુ સરળ બનશે. નેશનલ વાઈલ્ડલાઈફ બોર્ડ દ્વારા સોનપ્રયાગ-કેદારનાથ રોપવે પ્રોજેક્ટને મંજૂરી આપી દેવાતા હવે જે અંતર કાપવામાં સાડા આઠ કલાક જેટલો સમય લાગતો હતો, તે હવે માત્ર 25 મિનિટમાં કપાઈ જશે. આ સિવાય રામબાડાથી ગરુડચટ્ટી વચ્ચે પાંચ કિલોમીટરનો ટ્રેક રુટ બનાવવાને પણ મંજૂરી આપી દેવામાં આવી છે.
I am Gujarat kedarnath
કેદારનાથ ધામ


સોનપ્રયાગથી શરુ થતો ટ્રેક કે જ્યાંથી રોપવે શરુ થશે અને કેદારનાથ સુધી જશે, તેનું અંતર 18 કિલોમીટર થાય છે. હાલ આ રુટ પર વાહનો જઈ શકે તેવી કોઈ વ્યવસ્થા ના હોવાથી પગપાળા જતા કે પછી ખચ્ચર પર જતાં અહીંથી કેદારનાથ પહોંચવામાં સાડા આઠ કલાક જેટલો સમય લાગે છે. દર વર્ષે કેદારનાથ આવતા લોકોની સંખ્યામાં સતત વધારો થવાથી ઉત્તરાખંડ સરકારે કેટલાક સમય પહેલા સોનપ્રયાગથી કેદારનાથ વચ્ચે રોપવે શરુ કરવા માટેની દરખાસ્ત મૂકી હતી.

જૂન 2022માં જ રાજ્યના વાઈલ્ડલાઈફ બોર્ડ દ્વારા આ દરખાસ્તને મંજૂરી આપી દેવાઈ હતી, ત્યારબાદ તેને નેશનલ વાઈલ્ડલાઈફ બોર્ડ સમક્ષ મૂકવામાં આવી હતી. 12 કિલોમીટર જેટલા લાંબા આ રોપવે પ્રોજેક્ટ પાછળ 1268 કરોડ રુપિયાનો ખર્ચો થશે તેવો અંદાજ છે. તેના માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ 26.43 એકર જમીન રાજ્ય સરકારને સોંપશે.

આ સમગ્ર રુટ પર કુલ 22 ટાવર ઉભા કરવામાં આવશે, અને વચ્ચે ચાર સ્ટેશન આવશે. જેમાં ગૌરીકુંડ, ચીરબાસા, લિંચોલી અને કેદારનાથનો સમાવેશ થાય છે. જૂના ટ્રેક રુટ પર 0.983 હેક્ટર ફોરેસ્ટની જમીન રાજ્ય સરકારને સોંપાશે. બોર્ડે રામબાડાથી ગરુડચટ્ટી વચ્ચે ટ્રેક રુટ બનાવવાને પણ મંજૂરી આપી દેતા તેના નિર્માણનો રસ્તો સાફ થઈ ગયો છે. આ સિવાય 850 કરોડના ખર્ચે ગોવિંદઘાટ-હેમકુંડ સાહિબ વચ્ચે રોપવે શરુ કરવા માટે પણ નેશનલ વાઈલ્ડલાઈફ બોર્ડ સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવી છે. બંને રોપવે પ્રોજેક્ટ માટેનો વિગતવાર રિપોર્ટ NHAIની એજન્સી નેશનલ હાઈવેઝ લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવશે.
લેખક વિશે
Kautilya Singh
A Senior Assistant Editor in TOI with an inclination towards political reporting. Covers chief minister office, Congress and Tourism.... વધુ વાંચો

Read Next Story