એપશહેર

2004ની સુનામીમાં અનિલ કુંબલે પણ ફસાયો હતો! આ રીતે બચ્યો

પત્ની અને 10 મહિનાના બાળક સાથે રજાઓ માણવા ચેન્નઈ ગયેલા પૂર્વ ભારતીય કેપ્ટને મોતને એકદમ નજીકથી જોયું હતું

I am Gujarat 4 Aug 2020, 4:07 pm
નવી દિલ્હી: આજથી આશરે 16 વર્ષ પહેલા (26 ડિસેમ્બર 2004) ભારતમાં આવેલી સુનામીમાં ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન અને કોચ અનિલ કુંબલે પણ ફસાયો હતો. કુંબલેએ આ ભયાનક ઘટનાને યાદ કરતા રવિચન્દ્રન અશ્વિનને આખી ઘટના વિશે જણાવ્યું.
I am Gujarat anil kumble tells the story how he escaped 2004 tsunami
2004ની સુનામીમાં અનિલ કુંબલે પણ ફસાયો હતો! આ રીતે બચ્યો


આ ભયાનક ઘટનાએ આખી દુનિયામાં કહેર મચાવ્યો હતો અને આશરે 2 લાખ લોકોના તેનાથી મોત થયા હતા અને લાખો લોકો બેઘર થયા હતા. ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન તે વખતે ચેન્નઈમાં જ હતો અને તે જ દિવસે તેને પોતાના ઘર બેંગલુરુ પરત ફરવાનું હતું. ત્યારે પેસિફિક મહાસાગરમાં આવેલા ભૂકંપને કારણે સુનામીની લહેરો પેદા થઈ હતી અને તેણે દક્ષિણ ભારત સહિત પડોશી દેશોમાં ભારે તબાહી મચાવી હતી. ભારતમાં જ આ કુદરતી આપદાને કારણે 10,136 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

અનિલ કુંબલેએ આર.અશ્વિનની યૂટ્યૂબ ચેનલ 'DRS વિથ અશ્વિન'માં આ ઘટનાને યાદ કરી. કુંબલેએ જણાવ્યું કે, 'તે દિવસે અમે ચેન્નઈમાં હતા અને ત્યાંના ફિશરમેન કોવ (રિસોર્ટ)માં રોકાયા હતા. મારી સાથે મારી પત્ની અને દીકરો પણ હતા, જે ત્યારે 10 મહિનાનો હતો. અમે અમારી રજાઓ એન્જૉય કરીને ઘરે પરત ફરવાના જ હતા અને સુનામી આવી. 11.30ની ફ્લાઈટ હતી અને અમારે 9.30 ચેકઆઉટ કરવાનું હતું.'

49 વર્ષીય કુંબલેએ કહ્યું કે, 'તે રાતે મારી પત્નીની તબિયત સારી નહોતી અને તે મને વારંવાર ઉઠાડી રહી હતી કે ટાઈમ જુઓ. મારી તબિયત સારી નથી અને મને કંઈ સારું લાગી રહ્યું નથી એટલે અમે જલ્દી ઉઠી ગયા અને દરિયાને જોતા-જોતા કૉફી પીધી. બધું શાંત દેખાઈ રહ્યું હતું અને વાદળ છવાયેલાં હતા.'

તેણે આગળ જણાવ્યું કે, 'આશરે 8.30 વાગ્યે અમે નાશ્તો કરવા બ્રેકફાસ્ટ એરિયામાં ગયા અને જ્યારે સુનામીની પહેલી લહેર ટકરાઈ ત્યારે અમે નાશ્તો કરી રહ્યા હતા. મને એ પણ ખબર નહોતી કે, સુનામી આવી ચૂકી છે. ત્યારબાદ અમે જ્યારે ચેકઆઉટ કરી રહ્યા હતા ત્યારે યુવાન દંપતી પોતાના નહાવાના કપડાંમાંદ દેખાયું અને તે પલળેલા હતા અને ધ્રૂજી રહ્યા હતા. હું ત્યારે પણ તે બાબત (સુનામી)ને સમજી ન શક્યો.'

ભારત માટે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા આ પૂર્વ લેગ સ્પિનરે કહ્યું કે, 'અમે કારમાં બેસીને એરપોર્ટ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક પુલ હતો. ત્યાં પહોંચીને હું થોડો દંગ થઈ ગયો, કારણ કે, હું પુલથી જ પાણીને અડી શકતો હતો. પાણીનું સ્તર એટલું વધી ગયું હતું કે, તે પુલથી માત્ર 1 ફુટ નીચે હતું. પાણીમા તીવ્ર વહેણને લીધે ફીણ જ દેખાઈ રહ્યું હતું.'

કુંબલેએ જણાવ્યું કે, 'હવે અમે જોઈ રહ્યા હતા કે, ઘણા બધા લોકો જે કંઈ સમેટી શકતા હતા તે લઈને ચાલી રહ્યા હતા. તેમના હાથમાં વાસલ અને બેગ હતા. ખભા પર નાના-નાના છોકરાં બેઠેલા હતા. આ નજારો એવો જ હતો જેવો આપણે ફિલ્મોમાં જોઈએ છીએ.'

કુંબલે કહ્યું કે, 'ત્યાં સુધી અમે ક્યારેય સુનામી શબ્દ નહોતો સાંભળ્યો અને અમને સમજાઈ રહ્યું નહોતું કે, આખરે થઈ શું રહ્યું છે. જ્યારે હું બેંગલુરુમાં પોતાના ઘરે ગયો ત્યારે મેં ટીવી ઑન કર્યું ત્યારે મને અહેસાસ થયો કે, સુનામી આવીને જઈ ચૂકી છે. ત્યા સુધી અમે બિલકુલ અજાણ હતા કે, આ શું હતું.'

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો