એપશહેર

સ્મિથને નિષ્ફળ બનાવ્યા બાદ હવે ટીમ ઈન્ડિયાના ટાર્ગેટ પર છે આ ઈંગ્લિશ બેટ્સમેન

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ફેબ્રુઆરીથી ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થશે, પ્રથમ બે ટેસ્ટ ચેન્નઈમાં રમાશે

I am Gujarat 28 Jan 2021, 4:45 pm
ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક સિરીજ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમનો આગામી લક્ષ્યાંક ઈંગ્લેન્ડને ઘરઆંગણે પરાજય આપવાનો છે. ભારતે ઓસ્ટ્રેલિયામાં ચાર મેચની સિરીઝ 2-1થી જીતી લીધી હતી. આ ટેસ્ટ સિરીઝમાં તમામ લોકોની નજર સ્ટિવ સ્મિથ પર હતી. પરંતુ ભારતે સ્મિથને નિષ્ફળ બનાવવા માટે રણનીતિ બનાવી હતી અને તે ઘણી જ કારગર નિવડી હતી. સ્મિથ ફક્ત એક જ સદી નોંધાવી શક્યો હતો પરંતું તે સિવાય તે કોઈ ખાસ પ્રભાવશાળી પ્રદર્શન કરી શક્યો ન હતો. હવે ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝમાં ભારત સામે એક મોટો પડકાર છે. આ ખેલાડી છે ઈંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ. સ્મિથની જેમ જો રૂટ પણ જોખમી ખેલાડી છે અને તેને નિયંત્રણમાં રાખવો ભારતીય બોલર્સ માટે મુશ્કેલ હશે.
I am Gujarat india vs england team india bowling coach bharat arun eyes joe roots scalp after stifling steve smith
સ્મિથને નિષ્ફળ બનાવ્યા બાદ હવે ટીમ ઈન્ડિયાના ટાર્ગેટ પર છે આ ઈંગ્લિશ બેટ્સમેન


શાનદાર ફોર્મમાં છે જો રૂટ

ઈંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ હાલમાં શાનદાર ફોર્મમાં છે. તેણે શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ સિરીઝમાં ચાર ઈનિંગ્સમાં 426 રન નોંધાવ્યા હતા. જેમાં એક બેવડી સદી પણ સામેલ છે. ભારતીય બોલિંગ કોચ ભરત અરૂણે જણાવ્યું છે કે જો રૂટ અદ્દભુત ફોર્મમાં છે અને ઈંગ્લેન્ડ તેનાથી વધારે શ્રેષ્ઠ ફોર્મની આશા રાખી શકે નહીં. પરંતુ અમે તેના માટે રણનીતિ બનાવી રહ્યા છીએ.

ભારતીય બોલર્સ પણ ઘાતક ફોર્મમાં છે

અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં ભરત અરૂણે જણાવ્યું હતું કે મોહમ્મદ શમી અને રવીન્દ્ર જાડેજા રમવાના નથી પરંતુ તે સિવાયના તમામ ભારતીય બોલર્સ ઘાતક ફોર્મમાં છે. ઈંગ્લેન્ડના બેટ્સમેનો અને ભારતીય બોલર્સ વચ્ચે મુકાબલો રોમાંચક રહેશે અને ટીમ ઈન્ડિયા ઘરઆંગણે રમી રહી છે તેથી બોલર્સને વધારે ફાયદો થઈ શકે છે. નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયામાં શ્રેણી વિજયમાં બેટ્સમેનો કરતા બોલર્સનું પ્રદર્શન વધારે સારું રહ્યું હતું. ઓસ્ટ્રેલિયામાં ભારતીય બોલર્સે ચાર ટેસ્ટમાં કુલ 72 વિકેટ ઝડપી હતી.

સ્મિથની જેમ રૂટ માટે રણનીતિ બનાવી છે

ઓસ્ટ્રેલિયામાં સ્મિથ માટે ભારતે રણનીતિ બનાવી હતી અને હવે રૂટ માટે પણ રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. અરૂણે જણાવ્યું હતું કે, સ્મિથને કેવી રીતે નિયંત્રણમાં રાખવો તે માટે મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ મને વાત કરી હતી અને અમે તે મુજબ રણનીતિ તૈયાર કરી હતી. આ ઘણી લાંબી વાત છે પરંતુ ટૂંકમાં એટલું છે કે અમે ઓસ્ટ્રેલિયાને ઓફસાઈડમાં રમાડવા ઈચ્છતા ન હતા. અમારો પ્લાન સ્મિથને રન ન નોંધાવવા દેવાનો હતો. જેનાથી સ્મિથ અકળાશે અને તેમ જ થયું હતું. નોંધનીય છે કે સ્મિથે સિરીઝમાં 313 રન નોંધાવ્યા હતા પરંતુ તેમાંથી 131 રન એક જ ઈનિંગ્સમાં હતા. આ સિવાય તેણે સાત ઈનિંગ્સમાં 182 રન નોંધાવ્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો