એપશહેર

માનસિક ત્રાસ સહન ન થતાં પાકિસ્તાની ઝડપી બોલર આમિરે ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ

મીડિયા અહેવાલ પ્રમાણે મોહમ્મદ આમિરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે, સત્તાવાર નિવેદન ટૂંક સમયમાં જાહેર કરશે

I am Gujarat 17 Dec 2020, 6:43 pm
નવી દિલ્હીઃ પાકિસ્તાનના ઝડપી બોલર મોહમ્મદ આમિરે ગુરૂવારે જાહેરાત કરી છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી રહ્યો છે. 28 વર્ષીય ઝડપી બોલરે એક વિડીયોમાં કહ્યું છે કે તેને નથી લાગતું કે તે વર્તમાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) મેનેજમેન્ટ સાથે કામ કરી શકશે. તેથી સૌથી સારી વાત એ છે કે તે નિવૃત્તિ લઈ લે. નોંધનીય છે કે મોહમ્મદ આમિરે ગત વર્ષે જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ ઝડપી હતી.
I am Gujarat mentally tortured pakistan pacer mohammad amir quits international cricket claims report
માનસિક ત્રાસ સહન ન થતાં પાકિસ્તાની ઝડપી બોલર આમિરે ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ


માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે

આમિરે કહ્યું છે કે તે આ અંગે ઝડપથી પોતાનું નિવેદન જારી કરશે. આમિરે કહ્યું છે કે, પ્રામાણિકતાથી કહું તો મને નથી લાગતું કે હું આ મેનેજમેન્ટ (બોર્ડ) અંતર્ગત ક્રિકેટ રમી શકું છું. હું ક્રિકેટ છોડી રહ્યો છું. મને માનસિક રીતે ત્રાસ આપવામાં આવી રહ્યો છે. હું તેનો સામનો કરી શકતો નથી. મેં 2010થી 2015 દરમિયાન ઘણું સહન કર્યું છે. પાકિસ્તાન માટે 36 ટેસ્ટ, 61 વન-ડે અને 50 ટી20 મેચ રમનારા મોહમ્મદ આમિરે કહ્યું હતું કે, હું શાહિદ આફ્રિદીનો આભાર માનું છું જેણે મને પ્રતિબંધ બાદ પુનરાગમન કરવાની તક આપી. આમિરનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

લોકો કહે છે કે આમિરે પાકિસ્તાન સાથે દગો કર્યો છે

તેણે આગળ જણાવ્યું હતું કે પ્રત્યેક ક્રિકેટર પોતાના દેશ માટે રમવા ઈચ્છે છે. તેઓ કહી રહ્યા છે કે હું વિશ્વમાં રમાઈ રહેલી અન્ય ક્રિકેટ લીગમાં રમવા માટે ટેસ્ટ ક્રિકેટ છોડી દીધું છે. મેં બીપીએલ દ્વારા પુનરાગમન કર્યું છે, જો હું લીગમાં રમવા માટે આતુર હોત તો હું કહી શકતો હતો કે હું પાકિસ્તાન માટે રમવા ઈચ્છતો નથી. તેણે કહ્યું હતું કે, પ્રત્યેક મહિને કોઈને કોઈ વ્યક્તિ કહે છે કે આમિરે આપણી સાથે દગો કર્યો છે. બે દિવસમાં હું પાકિસ્તાન પહોંચીશ અને હું એક નિવેદન જારી કરીશ. આમિરે સાથે વિડીયોમાં તે પણ કહ્યું છે કે પાકિસ્તાન પહોંચ્યા બાદ પોતાના પરિવાર અને મિત્રો સાથે વાતચીત કર્યા બાદ સત્તાવાર નિવેદન જારી કરશે.

2010મા સ્પોટ ફિક્સિંગમાં સંડોવાયો હતો

આમિરે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે 259 વિકેટ ઝડપી છે. આમિરે 2009 ટી20 વર્લ્ડ કપ દરમિયાન પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી અને તે ટી20 વર્લ્ડ કપ વિજેતા પાકિસ્તાની ટીમનો ભાગ હતો. બાદમાં તેણે તે જ વર્ષે તેણે વન-ડે અને ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. જોકે, 2010મા સ્પોટ ફિક્સિંગમાં આમિરની સંડોવણી બહાર આવી હતી. ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ મેચમાં તેણે જાણી જોઈને નો-બોલ કર્યા હતા. બાદમાં આમિરે પોતાની ભૂલ સ્વીકારી હતી અને તેના પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

ગત વર્ષે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી

2015મા તે જાહેરાત કરવામાં આવી હતી કે આમિરને ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવાની મંજૂરી આપવામાં આવશે. ત્યારબાદ તે 2016મા ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર પાકિસ્તાન માટે રમ્યો હતો. ગત વર્ષે આમિરે વન-ડે અને ટી20 ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેણે ફક્ત 36 ટેસ્ટ મેચ રમી હતી. તેણે ટેસ્ટમાં 119 વિકેટ ઝડપી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો