એપશહેર

ધોની વિશે ટીમ ઈન્ડિયાના કોચનું મોટું નિવેદન, 'અટકળો ન લગાવો, IPL સુધી રાહ જુઓ'

Shailesh Thakkar | I am Gujarat 26 Nov 2019, 5:24 pm
મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિ વિશે ચાલી રહેલી અટકળો વચ્ચે ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી તરફથી મોટું નિવેદન આવ્યું છે. એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં શાસ્ત્રીએ કહ્યું કે, ‘આના માટે IPL 2020 સુધી રાહ જુઓ. આ બધું એ બાબત પર નિર્ભર કરે છે તે ક્યારથી રમવાનું શરૂ કરે છે અને IPLમાં તેનું પ્રદર્શન કેવું રહે છે. બીજી તરફ, અન્ય વિકેટકીપર્સ શું કરી રહ્યાં છે અને ધોનીની સરખામણીએ તેમના ફોર્મ કેવા છે તે પણ જોવાનું રહેશે.’ શાસ્ત્રીએ કહ્યું કે, ‘ટી20 વર્લ્ડ કપ પહેલા IPL છેલ્લી સૌથી મોટી ટૂર્નામેન્ટ હશે. આ દરમિયાન તમારા 15 ખેલાડીઓ નક્કી થઈ ચૂક્યા હશે. એટલે હું તો એવું જ ઈચ્છીશ કે, અટકળો લગાવવા કરતા IPL ખતમ થાય ત્યાં સુધી રાહ જોવી વધુ સારું રહેશે. ત્યારબાદ જ તમે એવી સ્થિતિમાં હશો કે, જાણી શકો કે, દેશના સર્વશ્રેષ્ઠ 17 ખેલાડીઓ કોણ છે.’ 4 મહિનાથી ક્રિકેટ નથી રમ્યો ધોની ભારત ICC વર્લ્ડ કપ 2019માં ન્યૂઝીલેન્ડ સામે સેમી ફાઈનલમાં હારીને બહાર થઈ ગયું હતું. ત્યારથી ધોની ક્રિકેટથી દૂર છે. આ દરમિયાન તેણે ભારતીય સેના સાથે સમય વિતાવ્યો અને પરિવાર સાથે વેકેશન્સ માણ્યાં. હવે ફેન્સ ફરી એકવાર તેને ક્રિકેટના મેદાન પર પાછો જોવા માગે છે. 9 મહિનાથી ટી20 રમ્યો નથી ધોનીએ પોતાના કરિયરમાં કુલ 98 ટી20 ઈન્ટરનેશનલ મેચો રમી છે. તે છેલ્લે ફેબ્રુઆરીમાં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 મેચ રમ્યો હતો. આ મેચમાં ઑસ્ટ્રેલિયા 7 વિકેટે જીતી ગયું હતું. જોકે, ધોનીએ 40 રનની પ્રશંસનીય ઈનિંગ રમી હતી. પંતના ખરાબ પ્રદર્શને વધારી ચિંતા ટીમ મેનેજમેન્ટ અને સિલેક્શન કમિટી રિષભ પંતને ધોનીના વિકલ્પ તરીકે જોઈ રહી હતી. પણ તે આશા પર ખરો ઉતરી શક્યો નહીં. બેજવાબદારી પૂર્વકની બેટિંગના કારણે તે આલોચકોના નિશાને આવ્યો છે. તેને બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટથી પહેલા જ ટીમે તેને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમવા માટે રીલિઝ કરી દીધો. તે અહીં પણ સારું પ્રદર્શન ન કરી શક્યો. તેણે હરિયાણા વિરુદ્ધ એક મેચમાં 32 બોલમાં 28 રન બનાવ્યા અને ખોટો શૉટ રમીને આઉટ થઈ ગયો. બાંગ્લાદેશ વિરુદ્ધની ટી20 સીરિઝમાં પણ તે નિષ્ફળ રહ્યો હતો અને ત્રણ મેચોમાં માત્ર 33 રન બનાવી શક્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો