એપશહેર

IPL: ફાઈનલમાં પહોંચવા આજે દિલ્હી અને હૈદરાબાદ વચ્ચે ટક્કર

આજે બીજી ક્વોલિફાયરમાં દિલ્હી અને હૈદરાબાદ વચ્ચે મુકાબલો, જે જીતશે તે ફાઈનલમાં મુંબઈ સામે રમશે, પ્રસારણ રાત્રે 7.30થી

I am Gujarat 8 Nov 2020, 4:48 pm
આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 13મી સિઝનની ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સની સામે કઈ ટીમ રમશે તેનો ખ્યાલ આજે આવી જશે. જેમાં બીજી ક્વોલિફાયરમાં આજે દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે અબુધાબીમાં મુકાબલો રમશે. આ મેચની વિજેતા ટીમ ફાઈનલમાં પહોંચશે જ્યારે હારી જનારી ટીમનું અભિયાન સમાપ્ત થઈ જશે. મેચનું પ્રસારણ રાત્રે 7.30 કલાકથી થશે.
I am Gujarat SRH5


આઈપીએલના ઈતિહાસમાં દિલ્હીનું પ્રદર્શન અત્યંત નબળુ રહ્યું છે પરંતુ ત્રણ સિઝન અગાઉ દિલ્હીએ પોતાની ક્રિકેટ સ્ટાઈલ બદલી નાંખી હતી. જેમાં ટીમે નવા અને યુવાન ખેલાડીઓને તક આપી હતી. એટલું જ નહીં તેમને નિડરપણે, આત્મવિશ્વાસ સાથે રમવાની પૂરતી છૂટ આપવામાં આવી હતી. જેના કારણે છેલ્લી બે ટુર્નામેન્ટમાં ટીમના પ્રદર્શનમાં ધરખમ ફેરફાર થયો છે. શ્રેયસ ઐય્યરની આગેવાનીમાં ટીમે દમદાર પ્રદર્શન કર્યું છે.

છેલ્લી બે સિઝનમાં દિલ્હી બે વખત પ્લેઓફમાં પહોંચ્યું છે. આમ દિલ્હીએ યુવાન ખેલાડીઓમાં મૂકેલો વિશ્વાસ સાર્થક થયો છે. જોકે, વર્તમાન ટુર્નામેન્ટના અંત ભાગમાં ટીમનું પ્રદર્શન કથડ્યું હતું. લીગ ગેમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમની નબળાઈઓ છતી કરી દીધી હતી. તેથી આજે હૈદરાબાદ સામેની મેચમાં દિલ્હીએ વધારે શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.

મુંબઈ સામેની પ્રથમ ક્વોલિફાયરમાં દિલ્હીને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીના ઓપનર્સનું પ્રદર્શન સાતત્યપૂર્ણ રહ્યું નથી. પૃથ્વી શો નિષ્ફળ રહ્યો છે જ્યારે શિખર ધવનના પ્રદર્શનમાં સાતત્યતાનો અભાવ રહ્યો છે. સળંગ બે સદી ફટકાર્યા બાદ સળંગ બે ઈનિંગ્સમાં તે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. મુંબઈ સામેની મેચમાં 0 રનમાં દિલ્હીએ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.

ટીમ પાસે રિશભ પંત અને કેપ્ટન ઐય્યર પણ છે પરંતુ તેઓ અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરી શક્યા નથી. બીજી તરફ હૈદરાબાદ પાસે ડેવિડ વોર્નર, કેન વિલિયમ્સન, જેસન હોલ્ડર અને રાશિદ ખાન જેવા આંતરરાષ્ટ્રીય દિગ્ગજ અને અનુભવી ખેલાડીઓ છે. તેથી દિલ્હીના યુવાન ટીમ સામે અનુભવી હૈદરાબાદનો પડકાર રહેશે.

Read Next Story