એપશહેર

વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઈલે છોડી દીધી IPL-2021, જાણો શું છે કારણ

પંજાબ કિંગ્સનો વિસ્ફોટક બેટ્સમેન આઈપીએલ-2021ની બાકીની મેચોમાં રમતો જોવા મળશે નહીં

I am Gujarat 1 Oct 2021, 4:55 pm
ઈન્ડિયન પ્રીમિયર લીગ અને ટી20 ક્રિકેટના સૌથી વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઈલે યુએઈમાં રમાઈ રહેલી આઈપીએલ-2021 ટુર્નામેન્ટ છોડવાનો નિર્ણય લીધો છે. ક્રિસ ગેઈલ પંજાબ કિંગ્સ ટીમ માટે રમી રહ્યો છે. પંજાબે ગુરૂવારે જણાવ્યું હતું કે બબલ ફટિગના કારણે વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેને બોયો-સિક્યોર વાતાવરણમાં રમાઈ રહેલી આઈપીએલ-2021 છોડી દીધી છે.
I am Gujarat gayle13


દુબઈમાં આઈપીએલના બીજા તબક્કાનો પ્રારંભ થયો અને ત્યારથી ગેઈલ ફક્ત બે જ મેચ રમ્યો હતો. ગેઈલ આગામી મહિને રમાનારા ટી20 ક્રિકેટ વર્લ્ડ કપ પહેલા રિફ્રેશ રહેવા ઈચ્છે છે. નોંધનીય છે કે આઈપીએલ રમવા આવ્યો તે અગાઉ ક્રિસ ગેઈલ તેના દેશની કેરેબિયન પ્રીમિયર લીગમાં રમીને આવ્યો હતો.

દુબઈ આવીને આઈપીએલ બાયો-બબલમાં આવ્યા પહેલા તે કેરેબિયન પ્રીમિયર લીગા બાયો-બબલમાં રહ્યો હતો. કોરોના બાદ ક્રિકેટના તમામ ટુર્નામેન્ટમાં બાયો-બબલ અનિવાર્ય બનાવી દેવામાં આવ્યો છે. પંજાબ કિંગ્સે ગેઈલનું નિવેદન જાહેર કર્યું હતું જેમાં તેણે કહ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનાઓથી હું સીડબલ્યુઆઈ બબલ, સીપીએલ બબલ અને આઈપીએલ બબલમાં હતો, અને હું મારી જાતને માનસિક રીચાર્જ કરવા અને તરોતાજા રાખવા ઈચ્છું છું.

તેણે કહ્યું હતું કે, હું ટી20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝને મદદ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવા ઈચ્છું છું. જેથી હું દુબઈમાં બ્રેક લઈ રહ્યો છું. હું પંજાબ કિંગ્સનો આભાર માનું છું જેણે મને મંજૂરી આપી. મારી શુભેચ્છાઓ હંમેશા ટીમ સાથે રહેશે. આગામી મેચો માટે હું ટીમને શુભેચ્છા પાઠવું છું.

ટીમના મુખ્ય કોચ અનીલ કુંબલેએ જણાવ્યું હતું કે, હું ક્રિસ ગેઈલ વિરુદ્ધ રમ્યો છું અને હાલમાં પંજાબ કિંગ્સના કોચ તરીકે તેની સાથે કામ પણ કર્યું છે, આટલા વર્ષોમાં હું જાણું છું કે તે એક પ્રોફેશનલ ખેલાડી છે અને એક ટીમ તરીકે અમે તેના નિર્ણયનું અને ટી20 વર્લ્ડ કપ માટે તેની તૈયારીઓની ઈચ્છાનું સન્માન કરીએ છીએ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો