એપશહેર

IPL: ટીમના કંગાળ પ્રદર્શનથી અકળાયો રોહિત, બંધ રૂમમાં લીધો ખેલાડીઓનો 'ક્લાસ'

IPL 2022: આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 15મી સિઝનની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સ ટીમ માટે સારી રહી નથી. પાંચ વખતની ચેમ્પિયન ટીમ અત્યાર સુધી ત્રણ મેચ રમી છે અને ત્રણેયમાં તેને પરાજયનો સામનો કરવો પડ્યો છે. જેના કારણે કેપ્ટન રોહિત શર્મા પર દબાણ આવી ગયું છે. રોહિતે આ પ્રદર્શન માટે કોઈ ખેલાડીને દોષ આપવાના બદલે તમામ ખેલાડીઓને જીતની ભૂખ દેખાડવાનું કહ્યું છે.

Edited byચિંતન રામી | Agencies 8 Apr 2022, 8:03 pm
આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 15મી સિઝનની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સ ટીમ માટે સારી રહી નથી. પાંચ વખતની ચેમ્પિયન ટીમ અત્યાર સુધી ત્રણ મેચ રમી છે અને ત્રણેયમાં તેને પરાજયનો સામનો કરવો પડ્યો છે. જેના કારણે કેપ્ટન રોહિત શર્મા પર દબાણ આવી ગયું છે. રોહિતે આ પ્રદર્શન માટે કોઈ ખેલાડીને દોષ આપવાના બદલે તમામ ખેલાડીઓને જીતની ભૂખ દેખાડવાનું કહ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સને ત્રણ મેચમાં દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પરાજયનો સામનો કરવો પડ્યો છે.
I am Gujarat rohit sharma MI


રોહિત શર્માએ કોલકાતા સામે પરાજય બાદ ડ્રેસિંગ રૂમમાં સ્પીચ આપી હતી અને ટીમને કહ્યું હતું કે, આપણે અહીં કોઈ એક ખેલાડીને દોષિત ઠેરવી શકીએ નહીં. આપણે બધા સામેલ છીએ. આપણે બધા એક સાથે જીતીએ છીએ અને એક સાથે જ હારીએ છીએ. મને આ આટલું સરળ લાગે છે. મને લાગે છે કે પ્રત્યેક ખેલાડીએ થોડી આતુરતા દેખાડવાની જરૂર છે. જ્યારે આપણે રમીએ છીએ ખાસ કરીને આ ટુર્નામેન્ટમાં તો આતુરતા મહત્વની બની જાય છે. પ્રત્યેક હરીફ ટીમ અલગ-અલગ હોય છે. તે હંમેશા અલગ-અલગ રણનીતિ સાથે આવે છે. આપણે હંમેશા તેમનાથી આગળ જવાની જરૂર હોય છે. આપણે તેના પર ભારે પડવાની જરૂર હોય છે.
આ આપણે ફક્ત ત્યારે જ કરીએ શકીએ જ્યારે આપણે મેદાન પર બેટ અને બોલ વડે થોડી ભૂખ દેખાડીએ, તેમ રોહિત શર્માએ જણાવ્યું હતું. આ સાથે રોહિત શર્માએ તે પણ કહ્યું હતું કે કોઈએ ગભરાવવાની જરૂર નથી અને ટીમ સાથે ખેલાડીઓને કહ્યું કે તેઓ મહત્વની ક્ષણોમાં એકજૂટ થઈને રમે કેમ કે અંતમાં તેનાથી પરિણામમાં અંતર જોવા મળે છે.

મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ મેચ દિલ્હી કેપિટલ્સ સામે હતી. જેમાં રોહિત શર્માની આગેવાનીવાળી ટીમનો ચાર વિકેટે પરાજય થયો હતો. જ્યારે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં મુંબઈનો 23 રને પરાજય થયો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ મુંબઈ પાંચ વિકેટે હારી ગયું હતું.
લેખક વિશે
ચિંતન રામી
ચિંતન રામી છેલ્લા 16 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેમણે કારકિર્દીની શરૂઆત દિવ્યભાસ્કર.કોમથી કરી હતી. ડિજિટલ મીડિયામાં કારકિર્દીની શરૂઆત કર્યા બાદ તેમણે પ્રિન્ટ મીડિયામાં સ્પોર્ટ્સ રિપોર્ટિંગ અને એડિટિંગ પણ કર્યું છે. તેઓ ડિજિટલ અને પ્રિન્ટ મીડિયાનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી જ જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી હતી અને પત્રકારના ક્ષેત્રમાં જોડાયા છે. તેઓ દિવ્યભાસ્કર.કોમ અને નવગુજરાત સમય અખબારમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story