ગૌરવ ગુપ્તા, રાજકોટ: શનિવારે રાજકોટમાં ન્યૂઝીલેન્ડ સામે બીજી ટી20 મેચમાં સ્ટમ્પિંગથી બચવા માટે ધોનીએ શાનદાર જિમ્નેસ્ટિક્સની ક્ષમતાનો પરિચય આપ્યો. ક્રીચમાં રહેવા માટે ધોનીની સ્ટ્રેચિંગનો આ પ્રયાસ થોડા જ સમયમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને પૂર્વ કેપ્ટન ટ્રોલ થઈ ગયો. ધોનીએ થોડા મહિના પહેલા વન-ડેમાં સારું પ્રદર્શન કરીને આલોચકોની બોલતી બંધ કરી દીધી હતી. 36 વર્ષીય ધોની વન-ડે મેચોમાં હજુ પણ એકદમ ફીટ દેખાઈ રહ્યો છે પણ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 37 બોલમાં 49 રનની ઈનિંગ રમી. આ ઈનિંગને કારણે હવે તેના પર સવાલ ઊભા થવા લાગ્યા છે. ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં ધોનીના રમવા પર સવાલ પેદા થઈ રહ્યાં છે કે, શું તે હવે ટી20 માટે ઉપયોગી રહ્યો છે?
ધોનીની ધીમી બેટિંગથી કપરો લક્ષ્ય વધુ કપરો બન્યો
જોકે, બીજી ટી20 મળેલા પરાજય માટે ધોનીને જવાબદાર ઠેરવવો યોગ્ય ન કહી શકાય કારણ કે , ધોની જ્યારે રમવા ઉતર્યો ત્યારે ન્યૂઝીલેન્ડની સ્થિતિ મજબૂત થઈ ચૂકી હતી. આ સમયે ભારતનો સ્કોર 4 વિકેટે 67 રન હતો અને તેને જીત માટે 65 બોલમાં 130 રનની જરૂર હતી. ધોનીએ પોતાની સ્ટાઈલમાં કિવી સ્પિનર સોઢીને છગ્ગો તો ફટકાર્યો પણ તેણે શરૂઆતના 17 રન બનાવવા માટે 20 બોલ રમી નાખ્યા. ધોનીની ધીમી બેટિંગને કારણે લક્ષ્ય વધારે અધરો થઈ ગયો.
કોહલીએ કર્યો ધોનીનો બચાવ
ધોનીએ એવા સમયે ધીમી બેટિંગ કરી જ્યારે ભારતને બાઉન્ડ્રીઝ અને ઝડપી રનની જરૂર હતી. ધોનીએ છેલ્લી એકાદ ઓવરમાં શોટ્સ ફટકાર્યા પણ ત્યાં સુધી ભારત મેચ ગુમાવી ચૂક્યું હતું. જોકે, આ બાબતે કેપ્ટન વિરાટ કોહલી પોતાના સીનિયર બેટ્સમેનનો બચાવ કરતા જણાવ્યું કે, ધોની પોતાના એન્ડ પર સારો જ હતો પણ લક્ષ્ય ખૂબ જ અઘરો હતો. વિરાટની વાત ઉપરાંત જે રીતે બીજી ટી20માં ટીમને હાર્દિક પંડ્યાની નિષ્ફળતા જોવા મળી તેવી સ્થિતિમાં એક એવા વિસ્ફોટક ‘વિકેટકીપર બેટ્સમેન’ની જરૂર છે જે તાબડતોબ રમી શકે.
અગરકરે કહ્યું, ‘ટી20માં ધોનીની સમય પૂરો’
આ વર્ષની શરૂઆતમાં દિલ્હીના ઋષભ પંત એક વિકલ્પ બનીને સામે આવતો દેખાઈ રહ્યો છે. જોકે, સિલેક્ટર્સે તેના પર વિશ્વાસ દેખાડ્યો નથી અને ઋષભનું પ્રદર્શન પણ બરાબર રહ્યું નથી. વિકલ્પોની વાત કરીએ તો અત્યારે દિનેશ કાર્તિક, રિદ્ધિમાન સહા અને પાર્થિવ પટેલ પર નજર જાય છે. બીજી ટી20 બાદ ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર અજીત અગરકરે કહ્યું કે, ટી20ના ખિલાડી તરીકે ધોનીના દિવસો પૂરા થઈ ગયા છે.
સિલેક્ટર્સે પણ આપી દીધા છે સંકેત
ધોનીના એવા પ્રશંસકોની સંખ્યામાં પણ ઘણો વધારો થયો છે જે આવું જ વિચારી રહ્યાં છે. આગામી ટી20 વર્લ્ડકપ 2020માં રમવાનો છે. ત્યાં સુધી ધોની 39 વર્ષનો થઈ ચૂક્યો હશે. જોકે, 2019ના ક્રિકેટ વર્લ્ડકપ બાદ ધોની આ દિશામાં જોઈ રહ્યો હોય તો તેણે ટી20માં પોતાની દાવેદારી મજબૂત કરવી જોઈએ, નહીંતર સિલેક્ટર્સને જ નિર્ણય કરવો પડશે અને આના સંકેત પણ મળી ચૂક્યા છે. થોડા મહિના પહેલા જ ટીમ ઈન્ડિયાના મુખ્ય સિલેક્ટર એમએસકે પ્રસાદે કહ્યું હતું કે, જો ધોની સારું પ્રદર્શન ન કરી શકે તો વિકલ્પ શોધવો પડશે. હવે લાગી રહ્યું છે કે, ટી20માં તે સમય પાકી ગયો છે.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.