એપશહેર

સુરેશ રૈના બોલ્યો, આ ખેલાડી ટીમમાં હોત તો 2019નો વર્લ્ડ કપ ભારતે જીત્યો હોત

સખત મહેનત અને સતત સારા પ્રદર્શન છતાં આ ખેલાડીને વર્લ્ડ કપ 2019 માટે ભારતીય ટીમમાં સ્થાન અપાયું નહોતું, હવે રૈનાને આને ટીમ ઈન્ડિયાની મોટી ભૂલ ગણાવી છે.

I am Gujarat 22 Aug 2020, 4:33 pm
નવી દિલ્હી: પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ કહ્યું કે, જો અંબાતી રાયૂડૂને ગત વર્ષે રમાયેલા વન-ડે વર્લ્ડકપમાં ભારતીય ટીમમાં સ્થાન મળ્યું હોત તો ભારત ચેમ્પિયન બની શકે તેમ હતું. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાને 2019ના વન-ડે વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
I am Gujarat suresh raina says if ambati rayudu included in team india then would win world cup in 2019
સુરેશ રૈના બોલ્યો, આ ખેલાડી ટીમમાં હોત તો 2019નો વર્લ્ડ કપ ભારતે જીત્યો હોત


2019માં ICC વર્લ્ડ કપ શરૂ થયા પહેલા ભારતીય ટીમને ટાઈટલ જીતવાની સૌથી પ્રબળ દાવેદાર ટીમોમાં ગણવામાં આવી રહી હતી પણ ટીમ સેમી ફાઈનલમાં હારી ગઈ. સેમી ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાએ જે રીતનું પ્રદર્શન કર્યું હતું તે જોતા લાગતું હતું કે, આ વખતે ટીમ ચેમ્પિયન બનશે જ, પણ એવું ન થઈ શક્યું. તેને ન્યૂઝીલેન્ડ સામે સેમી ફાઈનલમાં ટૂંકા અંતરથી હારનો સામનો કરવો પડ્યો, જેનાથી ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની બહાર થઈ ગઈ.

તાજેતરમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા મર્યાદિત ઓવર્સના શાનદાર ક્રિકેટર સુરેશ રૈનાએ એક એવા ક્રિકેટરનું નામ જણાવ્યું જેના હોવાથી ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીતી શકે તેમ હતી. રૈનાએ 'ક્રિકબઝ'ને જણાવ્યું કે, 'હું ઈચ્છતો હતો કે, રાયુડૂ ભારત માટે નંબર 4 પર બેટિંગ કરે. તેણે આશરે દોઢ વર્ષ સુધી સખત મહેનત અને સારું પ્રદર્શન કર્યું હતું. જોકે, તેને ટીમમાં શામેલ ન કરાયો.'


તેણે કહ્યું, '2018ના પ્રવાસને હું એન્જૉય કરી શક્યો નહોતો, કારણ કે, સ્થિતિ એવી થઈ ગઈ હતી, જ્યાં રાયુડૂ ફિટનેસ ટેસ્ટમાં ફેલ થઈ ગયો. તેને એ બિલકુલ નહોતું ગમ્યું કે, તે ફિટનેસ ટેસ્ટ પાસ ન કરી શક્યો. તેના સ્થાને મને ટીમમાં પસંદ કરવામાં આવ્યો.'

વર્લ્ડ કપ દરમિયાન ટીમ ઈન્ડિયાને નંબર-4ના બેટ્સમેન માટે ખૂબ સમસ્યાોનો સામનો કરવો પડ્યો. જોકે, ટૂર્નામેન્ટમાં ઓપનર્સનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું. ત્યારે MSK પ્રસાદની આગેવાનીવાળી સિલેક્શન કમિટીએ રાયુડૂને વર્લ્ડ કપ માટે ટીમમાં ન લીધો અને તેના સ્થાને વિજય શંકરને તક અપાઈ. આ અંગે ખૂબ વિવાદ પણ થયો અને રાયુડૂએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કર્યો હતો.


15 ઑગસ્ટના રોજ ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહેનારા રૈનાએ કહ્યું કે, 'તે (રાયુડૂ) નંબર-4 માટે સારો બેટ્સમેન હતો. જો તે વર્લ્ડ કપની ટીમમાં હોત તો કદાચ આપણ ટાઈટલ જીતી ગયા હોત. તે જે રીતે રમે છે, તે નંબર માટે સર્વશ્રેષ્ઠ વિકલ્પ હતો. ચેન્નઈમાં ટ્રેનિંગ કેમ્પમાં તેણે સારી બેટિંગ કરી.'

ગત વર્ષે વર્લ્ડ કપ માટે ઑલરાઉન્ડર વિજય શંકર અને યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને મિડલ ઑર્ડર માટે પસંદ કરવામાં આવ્યા હતા પણ બંનેનું પ્રદર્શન ખાસ રહ્યું નહોતું. ઈંગ્લેન્ડ આ વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યું હતું, જેણે બાઉન્ડ્રીના આધારે સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો