એપશહેર

રાજનૈતિક ધમાસાણ વચ્ચે ફેસબૂકને કરવી પડી સ્પષ્ટતા, કોઈ પાર્ટી સાથે નથી સંબંધ

સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક પર વિપક્ષે એવા આરોપ લગાવ્યા છે કે તેણે સત્તારુઢ બીજેપીના કેટલાક નેતાઓની પોસ્ટ પર હેટ સ્પીચ રુલ્સને લાગુ નહોતો કર્યો. જે ભેદભાવભર્યું વલણ દર્શાવે છે.

I am Gujarat 21 Aug 2020, 11:34 pm
નવી દિલ્હીઃ વિવાદોમાં ઘેરાયેલી સોશિયલ મીડિયા કંપની ફેસબુકે શુક્રવારે કહ્યું કે તેનો કોઈ જ પાર્ટી સાથે કોઈ જ સંબંધ નથી અને તે નેતાઓ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા આપત્તિજનક કન્ટેન્ટ પોતાના પ્લેટફોર્મ પરથી હટાવવાનું કામ ચાલું જ રાખશે. ફેસબુક પર આરોપ લાગ્યા છે કે તેણે સત્તારુઢ બીજેપીના કેટલાક નેતાઓની પોસ્ટ પર હેટ સ્પીચ રુલ્સને લાગુ નહોતો કર્યો. તાજેતરમાં જ વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટમાં એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે ફેસબુકના કન્ટેન્ટ પોલિસીઝનું ભારતમાં ભેદભાવ વગર પાલન નથી થતું અને બીજેપી પર વલણ નરમ છે. જે પછી ભાજપ અને કોંગ્રેસમાં ધમાસાણ મચ્યું છે.
I am Gujarat facebook a non partisan platform says india head amid political row
રાજનૈતિક ધમાસાણ વચ્ચે ફેસબૂકને કરવી પડી સ્પષ્ટતા, કોઈ પાર્ટી સાથે નથી સંબંધ


શું કહ્યું ફેસબુક ઈન્ડિયાના વાઈસ પ્રેસિડન્ટે?
ફેસબુક ઈન્ડિયાના વાઈસ પ્રેસિડન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર અજીત મોહને એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે,'ફેસબુક એક ખુલ્લું અને પારદર્શક પ્લેટફોર્મ છે અને તે કોઈ પક્ષ કે વિચારધારાનું સમર્થન નથી કરતું. આ પ્લેટફોર્મ પર લોકો પોતાની વાત કહેવા માટે સ્વતંત્ર છે. ગત થોડા દિવસો દરમિયાન અમે અમારી નીતિઓને લાગુ કરવામાં પક્ષપાતનો આરોપ લાગ્યો છે. અમે આ આરોપોને ગંભીરતાથી લઈએ છીએ અને સ્પષ્ટ કરવા ઈચ્છીએ છીએ કે અમે નફરત અને કટ્ટરતાની નિંદા કરીએ છીએ.'

કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ્સનું કડકાઈથી પાલન
મોહને કહ્યું કે કન્ટેન્ટ સાથે નિપટવા માટે ફેસબુકની નીતિ નિષ્પક્ષ રહી છે અને તે કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ્સનું કડકાઈથી પાલન કરે છે. તેમણે કહ્યું કે,'અમે સમગ્ર દુનિયામાં આ પોલીસીને લાગુ પાડીએ છીએ અને કોઈપણ રાજનૈતિક સ્થિતિ, વિચારધારા અથવા તો ધાર્મિક અને સાંસ્કૃતિક વિશ્વાસની પરવા નથી કરતાં. અમે નેતાઓ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા આપત્તિજનક કન્ટેન્ટને પ્લેટફોર્મ પરથી હટાવી રહ્યાં છીએ અને આગળ પણ આવું જ કરતા રહેશું.'

2 સપ્ટેમ્બરના રોજ પોતાનો પક્ષ રાખશે ફેસબુકના પ્રતિનિધિ
IT પર સંસદની સ્થાયી સમિતિના અધ્યક્ષ શશિ થરુરે ફેસબુકના પ્રતિનિધિઓને 2 સપ્ટેમ્બરના રોજ આ મુદ્દે પોતાનો પક્ષ રાખવા માટે બોલાવ્યા છે. જેના પર બીજેપીએ થરુર વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. સમિતિના સભ્ય અને બીજેપી સાંસદ નિશિકાંત દુબેનું કહેવું હતું કે, થરુરે સભ્યો સાથે વાતચીત નહોતી કરી. તેમને એકલા જ કાર્યવાહી કરવાનો અધિકાર નથી. દુબેએ તો થરુરને હટાવીને કોઈ અન્યને અધ્યક્ષ બનાવવાની માગ રાખી છે. થરુરનું કહેવું છે કે દુબે સંસદનું અપમાન કરી રહ્યાં છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો