એપશહેર

અહીં 40 વર્ષે એકવાર જળમાંથી બહાર નીકળે છે ભગવાન વિષ્ણુ, ભાગ્યશાળીને થાય બીજીવાર દર્શન

Mitesh Purohit | I am Gujarat 14 Aug 2019, 1:00 pm
ભારતમાં અનેક ચમત્કારીક અને અજીબોગરીબ મંદિરો અંગે સાંભળ્યું હશે. પરંતુ એક મંદિર એવું પણ છે જ્યાં ભગાવન 10-20 વર્ષ નહીં પૂરા 40 વર્ષે દર્શન આપે છે. આ મંદિર દ. ભારતના તામિલનાડુ રાજ્યના કાંચીપુરમમાં સ્થિત છે. આ મંદિરનું નામ છે દેવારાજસ્વામી મંદિર. આ મંદિરમાં ભગવાનની પૂજા અથિ વરદારના સ્વરુપે કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ મૂર્તિની સ્થાપના ખુદ બ્રહ્માજીએ કરી હતી. આ અંદિરમાં સ્થિત ભગવાન વરદારની ખાસ વાત એ છે કે તેઓ 40 વર્ષે ભક્તોને એકવાર દર્શન આપે છે. 1 જુલાઈથી 17 ઓગસ્ટ સુધી અહીં આવતા ભક્તોને આ દર્શન થશે. મંદિરની પરંપરા અનુસાર પહેલો એક મહિનો ભગવાન શયન મુદ્રામાં રહેશે. જે બાદ ભગવાન ઉભા થઈને શ્રદ્ધાળુઓને દર્શન આપશે. 18 ઓગસ્ટના રોજ ભગવાન ફરી જળમાં પ્રવેશ કરી જશે. ત્યાર બાદ હવે 40 વર્ષ સુધી ભરી ભગવાનના દર્શન માટે રાહ જોવી પડશે. આ પહેલા 1979માં ભગવાન જળમાંથી બહાર આવ્યા હતા. તમે કોઈપણ મંદિરમાં અનેકવાર દર્શન કરી શકો છો પરંતુ અહીં ભાગ્યશાળી હોય તે જ બીજીવાર દર્શન કરી શકે છે. આ કારણે જ ભગવાન જ્યારે બહાર પધારે ત્યારે મંદિરમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. ભગવાન વરદારના પ્રાક્ટ્યની એક રોચક કથા મુજબ જ્યારે સરસ્વતી દેવી બ્રહ્માથી કોપાયમાન થયા અને અહીં અંજીરના જંગલોમાં યજ્ઞ કરી રહેલા બ્રહ્માના યજ્ઞને નષ્ટ કરવા વેગવતી નદીના સ્વરુપે આવ્યા ત્યારે યજ્ઞ વેદીમાંથી ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને તેમણે સરસ્વતી દેવીને શાંત કર્યા અને બ્રહ્માજીનો યજ્ઞ પૂર્ણ થયો. જે બાદ બ્રહ્માજીએ વિશ્વકર્માને અથિ એટલે કે ત્યાં રહેલા અંજીરના ઝાડના લાકડામાંથી વરદાર ભગવાનની મૂર્તિ બનાવવા માટે કહ્યું. જે બાદ બ્રહ્માજીએ તેની પ્રતિષ્ઠા કરી. તેમજ ભગવાનની મૂર્તિની જળ સમાધી પાછળ પણ જુદી જુદી કથા મળે છે. એક મુજબ ભગવાન યજ્ઞની જ્વાળામાંથી જન્મ્યા હોવાથી તેમના તાપને ઓછો કરવા માટે જળમાં પ્રવેશ કરાવવામાં આવ્યો. આ સમય દરમિયાન દેવગુરુ બૃહસ્પતી તેમની પૂજા કરે છે. તો બીજી એખ પ્રચલીત કથા પ્રમાણે મુઘલ કાળમાં ભગવાનની પ્રતિમાની રક્ષા માટે તેને જળમાં છુપાડી દેવામાં આવી હતી અને 40 વર્ષ બાદ પૂજારીએ આ મૂર્તિને પરત બહાર કાઢી પૂજા કરી. જોકે આશ્ચર્યજનક રુપે 48મા દિવસે મૂર્તિ પરત જળમાં પ્રવેશી ગઈ. બસ ત્યારથી 40 વર્ષ જળમાં અને 48 દિવસ દર્શન ઉત્સવની પરંપરા અસ્તિત્વમાં આવી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો