એપશહેર

મુસ્લિમ દેશ યુએઈમાં ભવ્ય મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકાયું, પુરું થયું ભારતીયોનું સપનું

દુબઈ (Dubai)ના જેબલ અલી (Jebel Ali)માં કોરિડોર ઓફ ટોલરન્સ (Corridor of tolerance)માં હિંદુ મંદિરને લોકો માટે બુધવારે ખુલ્લું મૂકી દેવાયું છે. કોરિડોર ઓફ ટોલરન્સમાં 9 ધાર્મિક સ્થળ છે, જેમાં સાત ચર્ચ, એક મંદિર અને એક ગુરુદ્વારા સામેલ છે.

Edited byવિપુલ પટેલ | I am Gujarat 5 Oct 2022, 5:21 pm
દુબઈ: મુસ્લિમ દેશ સંયુક્ત આરબ અમીરાત (UAE)માં ભવ્ય મંદિરને લોકો માટે ખૂલ્લું મૂકી દેવાયું છે. યુએઈમાં જુદા-જુદા ધર્મોના લોકોને એક સાથે લાવનારું આ મંદિર સહિષ્ણુતા, શાંતિ અને સદભાવનાની એક શક્તિશાળી નિશાની છે. આ મંદિર દુબઈના જેબલ અલી (Jebel Ali)માં કોરિડોર ઓફ ટોલરન્સ (Corridor of tolerance)માં આવેલું છે. ઔપચારિક રીતે 5 ઓક્ટોબરે આ મંદિર શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યું. કોરિડોર ઓફ ટોલરન્સમાં 9 ધાર્મિક સ્થળ છે, જેમાં સાત ચર્ચ, એક મંદિર અને એક ગુરુદ્વારા સામેલ છે.
I am Gujarat hindu temple in jebel ali of uae inaugurated and open for all faiths
મુસ્લિમ દેશ યુએઈમાં ભવ્ય મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકાયું, પુરું થયું ભારતીયોનું સપનું



​દીપ પ્રગટાવી મંદિર ખૂલ્યું મૂકાયું

યુએઈના સહિષ્ણુતા અને સહ અસ્તિત્વ મંત્રી શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાને મંદિરમાં દીપ પ્રગટાવી આ મંદિરને ખૂલ્યું મૂક્યું. મુખ્ય પ્રાર્થના કક્ષમાં રિબિન કાપવાથી આ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. આ પ્રસંગે શેખ નાહયાનની સાતે યુએઈમાં ભારતીય રાજદૂત સંજય સુધીરએ પણ ખાસ ભાગ લીધો. દુબઈમાં આવેલા હિંદુ મંદિરના ટ્રસ્ટી રાજુ શ્રોફ સાથે લગભગ 200 લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

​મંદિર સાથે જોડાયેલું છે ગુરુદ્વારા

ભારતીય રાજદૂત સંજય સુધીરે આ પ્રસંગે કહ્યું કે, 'આજે દુબઈમાં એક નવા હિંદુ મંદિરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, જે ભારતીય સમુદાય માટે સ્વાગત કરનારા સમાચાર છે. આ મંદિરનું ઉદ્ઘાટન યુએઈમાં રહેતા હિંદુ સમાજની ધાર્મિક આકાંક્ષાઓને પૂરી કરે છે. નવા મંદિરની સાથે જ એક ગુરુદ્વારા પણ જોડાયેલું છે, જેને 2012માં ખુલ્લી મુકાઈ હતી.'

​'સપનું સાચું પડ્યું હોય તેવી ઘટના'

દુબઈના હિંદુ મંદિરના ટ્રસ્ટી રાજૂ શ્રોફે આ પ્રસંગે કહ્યું કે, 'મંદિરનું ઉદ્ઘાટન માત્ર હિંદુઓ માટે નહીં, પરંતુ સંયુક્ત આરબ અમીરાતમાં રહેતા ભારતીયો માટે એક સપનું સાચું થવા જેવું છે.' તેમણે કહ્યું કે, 'કોરોના છતાં દુબઈ સરકારના સમર્થનના કારણે નિર્માણ કામમાં મુશ્કેલી ન પડી. આ મંદિર દુબઈ અને યુએઈની સરકાર દયાળુ હોવાનું પ્રતીક છે.'

ઓનલાઈન બુકિંગથી થશે એન્ટ્રી

મંદિરમાં એન્ટ્રી કરવા માટે પહેલેથી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ભક્તો મંદિર પહોંચ્યા પહેલા ઓનલાઈન જ આ કામ કરી શકે છે. સપ્ટેમ્બરમાં લગભગ બે લાખ લોકોએ રજિસ્ટ્રેશન કરી એન્ટ્રી કરી હતી. આ મંદિર સવારે 6થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

​મંદિરમાં બનશે કોમ્યુનિટી હૉલ

મંદિરના અધિકારીઓ તરફથી જણાવાયું કે, આ વર્ષના અંત સુધીમાં અહીં એક વિશાળ કોમ્યુનિટી હૉલ બનાવાશે. જ્યાં હિંદુ સમારંભ જેવા કે, લગ્ન, નામકરણ અને યજ્ઞ થઈ શકશે. મંદિરની પાસે એક મોટું રસોડું છે, જ્યાં ખાવા-પીવાનો વિકલ્પ સામેલ છે.

લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story