એપશહેર

કાયર હતો બગદાદી, કૂતરાના મોતે માર્યો ગયો: ડોનાલ્ડ ટ્રમ્પ

I am Gujarat 27 Oct 2019, 5:21 pm
વોશિંગ્ટનઃ આતંકવાદી સંગઠન આઈએસઆઈએસનો વડો અબુ બક્ર અલ-બગદાદી માર્યો ગયો છે. અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બગદાદી માર્યો ગયો હોવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું હતું કે બગદાદીએ વિસ્ફોટક ધરાવતું જેકેટ પહેર્યું હતું અને તેમાં ધડાકો કરીને પોતાની જાતને ઉડાવી દીધી હતી. આ ઓપરેશનમાં સેનાના જવાનોની કોઈ જાનહાની થઈ નથી. અમને તેની પાસેથી ઘણું સંવેદનશીલ સાહિત્ય મળ્યું છે. બગદાદીને કાયર ગણાવતા કહ્યું હતું કે એક કાયર જે રીતે હિંસક રીતે મરે છે તે જ રીતે તે મોતને ભેટ્યો છે. અમે આતંકી જૂથોનો સફાયો કરવા માટે પ્રતિબદ્ધ છીએ. તે એક કાયરની રીતે માર્યો ગયો. વિશ્વ હવે સુરક્ષિત છે. નિર્દોષ લોકોની હત્યા કરનારા લોકોની હત્યા કરનારા આતંકીઓને ક્યારેય શાંતિથી બેસવા દેવાય નહીં. હું આ ઓપરેશન સફળ રીતે પાર પાડવામાં મદદ કરનારા રશિયા, તુર્કી, સીરિયા અને ઈરાકનો આભાર માનું છું. આ ઉપરાંત સીરિયન કુર્દોનો પણ આભાર માનું છું જેમણે અમને સહકાર આપ્યો છે. અગાઉ અમેરિકન સેનાએ કરેલા હુમલામાં બગદાદીનું મોત થયું હોવાના અહેવાલ હતા. પરંતુ તેની સત્તાવાર રીતે પુષ્ટી થઈ શકી ન હતી. અમેરિકન સેના સાથે જોડાયેલા સૂત્રોએ દાવો કર્યો હતો કે બગદાદી માર્યો ગયો છે. અમેરિકાએ આ હુમલામાં જેટલા લોકો માર્યા ગયા હતા તેમની બાયોમેટ્રિક તપાસ કરી હતી. અમેરિકાએ 48 વર્ષીય બગદાદીની માહિતી આપવા માટે 25 મિલિયન ડોલરનું ઈનાામ જાહેર કર્યું હતું. અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે સવારે ટ્વિટ કર્યું હતું કે કોઈ મોટી ઘટના બની છે. તેમના આ ટ્વિટ બાદ અટકળો લગાવવામાં આવી રહી હતી કે કોઈ મોટી જાહેરાત થવાની છે. જોકે, અમેરિકા તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ મળી રહેલી જાણકારી પ્રમાણે ઉત્તર-પશ્ચિમ સીરિયામાં બગદાદીને નિશાન બનાવવામાં આવ્યો હતો અને હવાઈ હુમલામાં તે માર્યો ગયો હતો. અમેરિકન સેના છેલ્લા પાંચ વર્ષથી તેને શોધી રહી હતી. નોંધનીય છે કે આઈએસઆઈએસ અત્યાર સુધીનું સૌથી ક્રુર અને ખૂંખાર આતંકી સંગઠન છે. તેનું પૂરૂ નામ ઈસ્લામિક સ્ટેટ છે અને અબુ બક્ર અલ-બગદાદી તેનો વડો છે. આ જેહાદી સંગઠન દ્વારા આ વર્ષે એપ્રિલમાં એક વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો જેમાં પાંચ વર્ષમાં પ્રથમ વખત બગદાદી જોવા મળ્યો હતો. જોકે, તે વીડિયો ક્યારે શૂટ કરવામાં આવ્યો હતો તે સ્પષ્ટ થયું નથી. પરંતુ બગદાદીએ પૂર્વ સીરિયામાં આઈએસના અંતિમ ગઢ બાગૂજ માટે મહિનાઓ સુધી લડેલી લડાઈનો ઉલ્લેખ કર્યો હતો. આ લડાઈ ગત મહિને જ સમાપ્ત થઈ હતી. એક ગાદી પર બેઠેલો અને ત્રણ લોકોને સંબોધિત કરતા બગદાદીએ કહ્યું હતું કે બાગૂજની લડાઈ સમાપ્ત થઈ ગઈ છે. વીડિયોમાં અન્ય ત્રણ વ્યક્તિઓના ચહેરાઓ ધૂંધળા કરવામાં આ્યા હતા. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ શ્રીલંકામાં થયેલા આતંકી હુમલાઓમાં આઈએસનો હાથ હોવાની વાત સામે આવી હતી. આ હુમલામાં 300થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે 500થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. શ્રીલંકના ત્રણ અલગ-અલગ શહેરોમાં હુમલા થયા હતા અને તેમાં ઘણા ચર્ચને નિશાન બનાવવામાં આવ્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો