ઇસ્લામાબાદઃ પાકિસ્તાની મિલિટરી કોર્ટ દ્વારા કથિત જાસૂસના ગુનામાં મોતની સજાનો સામનો કરી રહેલા ભારતીય નાગરિક કુલભૂષણ જાધવની દયા અરજી પર પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવા વિચાર કરી રહ્યા છે. પાકિસ્તાની સૈન્ય તરફથી કહેવામાં આવ્યું છે કે, આર્મી ચીફ જાધવ વિરુદ્ધ પુરાવાનું વિશ્લેષણ કરી રહ્યા છે અને તેમની દયા અરજી પર મેરિટના આધારે નિર્ણય કરશે. પાકિસ્તાનની મિલિટરી કોર્ટ દ્વારા દયા અરજી ફગાવાયા બાદ જાધવે પાકિસ્તાની આર્મી ચીફને દયા અરજી મોકલી છે. પાકિસ્તાની મિલિટરી કોર્ટે જાધવને મૃત્યુદંડ સંભળાવ્યા બાદ તેની વિરુદ્ધ ભારતે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં અપીલ કરી હતી. ICJએ હાલ તો જાધવની ફાંસી પર રોક લગાવી દીધી છે. ICJએ ભારતને જાધવ મામલે વધુ દસ્તાવેજો જમા કરાવવા માટે 13 સપ્ટેમ્બરનો સમય આપ્યો છે, જ્યારે પાકિસ્તાને 13 ડિસેમ્બર સુધી પોતાનો પક્ષ રજૂ કરવાનો છે. ભારત પાકિસ્તાન સમક્ષ જાધવને રાજદ્વારી મદદ આપવાની 16 વાર માગણી કરી ચૂક્યું છે, પરંતુ પાકિસ્તાને દરેક વખતે આ માગણી ઠુકરાવી છે. પાકિસ્તાનનો દાવો છે કે, જાધવ ઇન્ડિયન નેવીનો સર્વિંગ ઓફિસર છે અને તેની બલુચિસ્તાનથી ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ભારતનું કહેવું છે કે, જાધવ નેવીનો રિટાયર્ડ ઓફિસર છે. ભારતે જાધવની બલુચિસ્તાનમાં ધરપકડના પાકિસ્તાની દાવાને ફગાવતા કહ્યું છે કે, રિટાયર્ડ ઓફિસરનું ઈરાનથી અપહરણ કરવામાં આવ્યું હતું. જાધવ નેવીમાંથી નિવૃત્ત થયા બાદ ઈરાનમાં વ્યવસાય કરતો હતો. પાકિસ્તાની સેનાએ જાધવને દોષી બતાવી બે વાર તેનાં કથિત કબૂલનામાનો વીડિયો પણ જાહેર કર્યો છે.
જાધવની દયા અરજી પર વિચાર કરી રહ્યા છે પાક આર્મી ચીફ
I am Gujarat 16 Jul 2017, 6:16 pm