એપશહેર

બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, 2 હિન્દુઓની કરપીણ હત્યા, PM શેખ હસીનાએ આપી ચેતવણી

બાંગ્લાદેશમાં હિંસામાં હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરીને હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બે હિન્દુ વ્યક્તિઓની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. હિંસા મામલે બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ હુમલાખોરોને આકરાં શબ્દોમાં ચેતવણી આપી છે.

I am Gujarat 16 Oct 2021, 6:10 pm

હાઈલાઈટ્સ:

  • બાંગ્લાદેશમાં કુરાનના કથિત અપમાન બાદ હિંસા ભડકી ઉઠી છે
  • 200 હુમલાખોરોએ હિન્દુ મંદિર પર હુમલો કરીને 2 હિન્દુઓની નિર્મમ હત્યા કરી નાખી
  • લઘુમતી હિન્દુ સામે હિંસા મામલે પીએમ શેખ હસીનાએ આકરી ચેતવણી આપી
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat bangladesh violence
ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમાજ સામે ફરીથી હિંસા ભડકી ઉઠી છે. આ હિંસામાં બે હિન્દુઓનાં મોત નિપજ્યા છે, તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. એએફપીએ પોલીસના હવાલેથી જણાવ્યું છે કે, બાંગ્લાદેશના બેગમગંજમાં આ હિંસા ભડકી હતી. જેમાં 200થી વધારે પ્રદર્શનકારીઓએ હિન્દુ મંદિર પર હુમલો કર્યો હતો. આ સમયે મંદિરમાં દુર્ગા પૂજાના અંતિમ દિવસે હિન્દુ ભક્તો દ્વારા ધાર્મિક વિધિ કરવામાં આવી રહી હતી.
200 વ્યક્તિઓનાં ટોળાંએ મંદિર પર હુમલો કર્યો, હિન્દુ વ્યક્તિની કરપીણ હત્યા

સ્થાનિક પોલીસ વડા શાહ ઈમરાને જણાવ્યું કે, શનિવારની સવારે મંદિરની નજીક આવેલ તળાવ પાસેથી એક હિન્દુ વ્યક્તિની લાશ મળી આવી હતી. આ ઉપરાંત તેઓએ વધુમાં જણાવ્યું કે, હુમલાખોરોએ શુક્રવારે મંદિર કમિટીના એક્ઝિક્યુટીવ સભ્યને ઢોર માર્યો હતો અને ધારદાર હથિયાર વડે તેઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ગત રોજના હુમલામાં બે વ્યક્તિઓનાં મોત નિપજ્યા છે. અને અમે આરોપીઓની શોધખોળ કરી રહ્યા છે તેવું પણ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

કુરાનના કથિત અપમાનના વાયરલ વિડીયો બાદ હિંસા ભડકી

મુસ્લિમ બહુમતી ધરાવતાં પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુઓ સામે એ સમયે હિંસા ફાટી નીકળી, જ્યારે કમિલ્લા જિલ્લામાં દુર્ગા પંડાલમાં માતા દુર્ગાના પગમાં કુરાન પડી હોવાનો વિડીયો વાયરલ થયો હતો. બુધવારે હાજિગંજમાં 500 લોકોનાં ટોળાંએ હિન્દુ મંદિર પર હુમલો કરી દીધો હતો. જે બાદ પોલીસે ગોળીબાર કરતાં 4 વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા.

બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ આપી ચેતવણી

બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસાને કારણે અનેક હિન્દુઓ ઈજાગ્રસ્ત થયા છે, તેમજ અનેક મંદિરોને પણ નિશાન બનાવીને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ હુમલાખોરોને ચેતવણી આપતાં કહ્યું છે કે, કમિલ્લામાં દુર્ગા પૂજા પંડાલ અને હિન્દુ મંદિરો પર હુમલો કરનાર આરોપીઓને બક્ષવામાં નહીં આવે, ભલે પછી તે ગમે તે ધર્મનાં કેમ ન હોય. કમિલ્લા ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે, અને એકપણ આરોપીને છોડવામાં નહીં આવે. કોઈપણ ધર્મનો વ્યક્તિ હશે, તેને પકડી લેવામાં આવશે અને તેને સજા આપવામાં આવશે તેવું પણ શેખ હસીનાએ કહ્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો