એપશહેર

રશિયામાં પુતિનના ઘોર વિરોધી નેતાને ચામાં ઝેર આપવામાં આવ્યું, હાલત ગંભીર

રશિયામાં રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતિનના ઘોર વિરોધી અને વિપક્ષી નેતા એલેક્સી નવલની હાલમાં વેન્ટીલેટર પર

I am Gujarat 20 Aug 2020, 5:51 pm
મોસ્કોઃ રશિયાના વિપક્ષી નેતા એલેક્સી નવલનીને વિમાન પ્રવાસ દરમિયાન ચામાં ઝેર આપવામાં આવ્યું છે. એલેક્સી નવલની રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતિનના ઘોર વિરોધી અને ટીકાકાર છે. હાલમાં તેઓ કોમામાં છે અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. નવલનીની પ્રવક્તા કીરા યારમ્યશે આ જાણકારી આપી છે. કીરાએ કહ્યું છે કે ગુરૂવારે નવલની કામથી સાઈબિરિયા ગયા હતા અને ત્યાંથી મોસ્કો પરત આવી રહ્યા હતા.
I am Gujarat vladimir putins arch political rival and critic alexei navalny was poisoned
રશિયામાં પુતિનના ઘોર વિરોધી નેતાને ચામાં ઝેર આપવામાં આવ્યું, હાલત ગંભીર


વિમાનનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું

44 વર્ષીય નવલનીની તબીયત ખરાબ થયા બાદ વિમાનનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. રશિયાની સરકારી સમાચાર એજન્સી તાસના જણાવ્યા પ્રમાણે નવલનીની હાલત ગંભીર છે. કીરાએ ટ્વિટર પર લખ્યું છે કે, નવલનીને ઘાતક ઝેર આપવામાં આવ્યું છે. હાલમાં તેઓ આઈસીયુમાં ભરતી છે. તેમણે કહ્યું છે કે, અમે સમજીએ છીએ કે નવલનીને ચામાં ઝેર ભેળવીને આપવામાં આવ્યું હતું. તેઓ સવારે ફક્ત ચા જ પીવે છે.

ગરમ પાણીના કારણે ઝેર આસાનીથી ભળી ગયું

કીરાએ ડોક્ટરોને ટાંકીને લખ્યું છે કે ગરમ પાણી હોવાના કારણે ઝેર સરળતાથી ચાની અંદર ભળી ગયું. તેમણે જણાવ્યું હતું કે વિમાનની અંદર નવલની ઉલ્ટીઓ કરવા લાગ્યા હતા. તેમણે મને કહ્યું કે વાત કરતી રહો જેથી હું અવાજ પર ફોકસ કરી શકું. ત્યારબાદ તેઓ બાથરૂમમાં ગયા હતા અને બેભાન થઈ ગયા હતા. તેમણે કહ્યું કે નવલની હાલમાં બેભાન છે અને તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. અમારા કહેવાથી પોલીસને બોલાવવામાં આવી હતી.

પુતિનના ઘોર વિરોધી છે નવલની

કીરાએ કહ્યું છે કે આ ઝેરનો સંબંધ આ વર્ષની ચૂંટણીથી છે. નવલની પુતિનના ઘોર વિરોધી છે. વ્યવસાયે વકીલ નવલની ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઘણી વખત અભિયાન ચલાવી ચૂક્યા છે. તેમણે ઘણી વખત પુતિન વિરોધી રેલીઓ યોજી હતી. તેના કારણે તેમને ઘણા વર્ષ જેલમાં પણ રહેવું પડ્યું હતું.

નવલની પર અગાઉ પણ થઈ ચૂક્યા છે હુમલા

પુતિનના વિરોધી નવલનીની ઓફિસ પર ઘણી વખત પોલીસની રેડ પડી ચૂકી છે. 2017મા કેટલાક હુમલાખોરોએ તેની ઓફિસની બહાર તેમના પર ગ્રીન ડાય ફેંકી હતી જેના કારણે તેમની એક આંખે ઓછુ દેખાય છે. ગત વર્ષે ઓગસ્ટમાં જ્યારે તેઓ પોલીસ ડિટેન્શન સેન્ટરમાં હતા ત્યારે તેમનો ચહેરો સૂઝી ગયો હતો અને ચહેરા પર ઘણા ઘસરકા પણ જોવા મળ્યા હતા. ત્યારે તેમને હોસ્પીટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ કહ્યું હતું કે તેમને કોઈ એલર્જી થઈ છે. જોકે, નવલનીએ ઝેર આપ્યું હોવાની શંકા વ્યક્ત કરતા તપાસની માંગણી કરી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો